Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ર૦ વર્ષ પહેલાના લોન ધારકોને લોન ભરી દીધી છતા લોધીકા એસ.બી.આઇ.એ નોટીસો ફટકારી

ત્રણ-ત્રણ સરકારી કચેરીના સંકલનના અભાવે : નોટીસ મળ્યા બાદ લોન ધારકો બેંકમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ખરાઇ કરવા જતા દરેક ઓફીસ અમારી પાસે રેકર્ડ ઉપલબ્ધ નથી ના બહાના બતાવી લોકોને ધક્કે ચડાવે છે. : ર૦ વર્ષ પહેલા સરકારની સબસીડીવાળી લોનના ફોર્મ લોધીકા તાલુકા પંચાયતે વિતરણ કરેલ. : લોન ખાતેદારોએ વર્ષો પહેલા લોન ભરપાઇ કરી દેવા છતાં અનેક લોન ધારકોને નોટીસથી ફફડાટ ફેલાયો છે

લોધીકા  તા. ર૦ :.. લોધીકા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી, એસ. બી. આઇ. બેંક તથા રાજકોટ જીલ્લા પંચાયત કચેરી વચ્ચે સંકલનના અભાવે વર્ષો પહેલા લોન ભરપાઇ કરી દેનાર અનેક લોકોને બાકી લેણાની નોટીસો ફટકારાતા લોન ધારકોમાં રોષની લાગણી સાથે ફફડાટ વ્યાપી ગયેલ છે.

આ અંગે ચાંદલીના જાગૃત નાગરીક દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, વિનુભાઇ ઘેટીયા, પ્રેમજીભાઇ કમાણી, સબળસિંહ જાડેજા, દિલીપભાઇ ઘીયાળે રજૂઆતમાં જણાવ્યા મુજબ આજ થી આશરે ર૦ થી રપ વર્ષ પહેલા લોધીકાની તાલુકા પંચાયત કચેરીએથી ધંધાની લોન માટેના ફોર્મ વિતરણ થયેલ સબસીડી વાળી લોનનો ધંધા માટે લાભ લેવા અનેક લાભાર્થીઓએ તે વખતની સ્ટેટબ બેંક ઓફ સૌરાષ્ટ્ર બેંકની લોધીકા શાખામાંથી લોન મેળવેલ જેમાંથી અનેક લાભાર્થીઓએ નિયમિત હપ્તા ભરી પોતાની લોન ચુકતે કરી દીધેલ આમ છતાં આટલા વર્ષો બાદ તાજેતરમાં તાલુકા પંચાયત કચેરી લોધીકા મારફત આવા લાભાર્થીઓને નોટીસો ફટકારવામાં આવેલ છે તેમાં જણાવાયું છે કે તમારી લોન બાકી નીકળે છે જે સત્વરે ચુકતે કરવી અન્યથા મીલ્કત ટાચમાં લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

જેથી લોન ભરપાઇ કરી દેનાર લાભાર્થીમાં રોષની લાગણી ફેલાયેલ છે. આ અનુસંધાને લોન બાબતની માહિતી લેવા લોકો બેંકમાં જાય છે તો અહીં કોઇ રેકર્ડ ઉપલબ્ધ નથી જે તે વખતે કાર્યરત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનો બધો રેકર્ડ રાજકોટ કચેરીએ હોય તેમ કહી લાભાર્થીઓને સંતોષકારક જવાબ મળતો નથી. અને તાલુકા પંચાયત કચેરીએ જવા કહી દેવામાં આવે છે.

તાલુકા પંચાયત કચેરી દ્વારા એવુ જણાવવામાં આવે છે કે લોન ધારકોનું લીસ્ટ રાજકોટ જીલ્લા પંચાયત કચેરીએથી આવેલ તેના આધારે દરેકને નોટીસો પાઠવવામાં આવેલ છે. આમ પુરતી ખરાઇ કર્યા વગર, બેંકમાંથી માહિતી મેળવ્યા વગર જેમણે અગાઉ લોન ભરપાઇ કરી દીધેલ છે તેવા અનેક લોકોને પણ નોટીસો મળતા ફફડાટ સાથે રોષની લાગણી ફેલાયેલ છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જેવી રાષ્ટ્રીય કૃત બેંકની લોધીકા શાખામાંથી લોન ધારકોને પુરતી માહિતી મળવી જોઇએ તેના બદલે સંતોષકારક કામગીરી ન થતા લોન ધારકોમાં રોષની લાગણી વ્યાપેલ છે. ત્યારે લોન ભરપાઇ કરનાર તમામ આસામીઓને બેંક દ્વારા તુરત નો ડયુ સર્ટી. આપવામાં આવે તેવી માગણી લોન ધારકોમાંથી ઉઠી છે.

(11:21 am IST)