Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ભાડલાના બોઘરાવદર ગામે વાડો ખાલી કરવા પ્રશ્ને બે દેવીપુજક પરીવારો વચ્ચે મારામારી

રાજકોટ, તા., ર૦: ભાડલા બોઘરાવદર ગામે વાડો ખાલી કરવા પ્રશ્ને બે દેવીપુજક પરીવારો વચ્ચે મારામારી થતા પોલીસમાં સામસામી ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતોમુજબ બોઘરાવદર ગામે રહેતા મંજુબેન દિનેશભાઇ દેવીપુજક (ઉ.વ.૩પ) પર તે જ ગામના મનીષાબેન ભનાભાઇ સાડમીયા, કૈલાસબેન વિનોદભાઇ, કંચનબેન રમેશભાઇ, ભનાભાઇ મારૂભાઇ તથા રમેશ ભનાભાઇએ પાઇપ અને લાકડીથી હુમલો કરી ઇજા કરી હતી. તેમજ મંજુબેન સાથે રહેલ રાધીકાબેન તથા ગજરાબેનને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત મંજુબેને તેના ઘર પાસે વાડો વાળેલ હોય ઉકત શખ્સોએ આ વાડો ખાલી કરવાનું કહી હુમલો કર્યો હતો. આ અંગે મંજુબેનની ફરીયાદ પરથી ભાડલા પોલીસે ઉકત પાંચેય સામે ગુન્હો દાખલ કર્યો હતો.  સામા પક્ષે કૈલાસબેન વિનોદભાઇ દેવીપુજક તેજ ગામના મંજુબેન દિનેશભાઇ સાડમીયા તથા તેની પુત્રી રાધીકા (રહે. ચોરવીરા, તા. સાયલા )સામે પથ્થરથી હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ નોંધાવતા ભાડલા પોલીસે બંન્ને ફરીયાદો અંગે તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)