Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

જૂનાગઢમાં આધેડ મહિલાની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી : હત્યારાને સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી ઝડપી પોલીસ હવાલે કર્યો : પોલીસની ગુનો દાખલ કરીને તપાસ

અમદાવાદ,તા. ૨૦ : જૂનાગઢ શહેરમાં એજી સ્કૂલ રોડ ઉપર મનિષા વૈષ્ણવ નામની એક મહિલાની જાહેરમાં સરેઆમ છરીના ઘા મારી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. જો કે, મહિલાની હત્યા કરવા આવેલ શખ્સ હત્યા બાદ નાસી છૂટવાનો પ્રયાસ કરતાં સ્થાનિક લોકોના હાથે પકડાઇ જતાં તેને પોલીસને હવાલે કરાયો હતો.

પોલીસે આ સમગ્ર ઘટના અંગે આરોપી વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢ શહેરમાં એજી સ્કૂલ રોડ પર મનીષાબહેન વૈષ્ણવ નામની એક મહિલા પોતાના એકટીવા સ્કુટર મારફતે પસાર થઇ રહી હતી તે દરમ્યાન એક હુમલાખોર શખ્સે તેમને રસ્તામાં આંતરી તેમની પર જાહેરમાં સરેઆમ છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. મહિલા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડી હતી અને ગંભીર ઇજાઓ થવાના કારણે મનીષાબહેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. બનાવને પગલે ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને હત્યાને અંજામ આપી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહેલા આરોપી હુમલાખોર હત્યારાને ઝડપી લીધો હતો. લોકોએ હત્યારાને મેથીપાક ચખાડી તેને સ્થાનિક પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપી હત્યારા વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યારાએ કયા ઇરાદાથી મહિલાની હત્યા કરી અને હત્યાનું કારણ શું, આ હત્યા પાછળ કોણકોણ સંડોવાયેલું છે અને સમગ્ર ઘટના માટે કોનો દોરીસંચાર છે તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક મનિષાબેન વૈષ્ણવ(ઉ.વ. ૫૦) માણાવદરમાં આવેલી જેટકો કંપનીમાં નોકરી કરતા હતા.

(9:35 pm IST)