Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વેરાવળના ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસના સુરતમાં ઘેરા પડઘા:લોહાણા સમાજના વિવિધ સંગઠનોએ રેલી યોજી

આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ કરી : પોલીસ કડક પગલા નહીં ભરે તો આગામી સમયમાં સમાજ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવશે

વેરાવળના ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં લોહાણા સમાજમાં આક્રોશ વધી રહ્યો છે. સુરતમાં દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજના વિવિધ સંગઠનના આગેવાનોએ એકઠા થઈને રેલી યોજી. લોહાણા સમાજના યુવાનો અને આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને રાજકીય મોટા માથા સમાન આરોપીઓને કડક સજા કરવાની માગણી કરી. લોહાણા આગેવાને ચીમકી ઉચ્ચારી કે પોલીસ કડક પગલા નહીં ભરે તો આગામી સમયમાં સમાજ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવશે

  ડૉ. અતુલ ચગના આપઘાતથી રાજ્યભરનો લોહાણા સમાજ આક્રોશિત અને દુ:ખી છે. લોહાણા સમાજની ફરિયાદ છે કે સંબંધે ડૉ. ચગની સુસાઈડ નોટમાં જવાબદાર તત્વોના નામ હોવા છતા પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરાઈ નથી. જેથી લોહાણા સમાજમાં ભારે રોષ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજે આક્રોષ સાથે માગ કરી છે કે વેરાવળ પોલીસ તાત્કાલિક FIR નોંધી સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયેલા તત્વોની ધરપકડ કરે. સમગ્ર કેસની તપાસ CID ક્રાઈમ અથવા અન્ય તપાસ એજન્સીને તપાસ સોંપવાની માગ કરવામાં આવી છે.

  ડો. અતુલ ચગના પુત્રએ પણ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર અનેક સનસનીખેજ આરોપો લગાવ્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા વિરૂદ્ધ પોલીસને અરજી આપી છે. જેમાં તેમણે રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ રાજેશ ચુડાસમા સત્તાનો દૂરઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે . હિતાર્થ ચગે રાજેશ ચુડાસમાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે સાથે જ ન્યાય તંત્ર અને પોલીસ યોગ્ય ન્યાય આપશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 

(9:03 pm IST)