Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

લોઠડા પાસે કાર અકસ્માતમાં ઘંટેશ્વર બ્રહ્મનાથ સોસાયટીના ૨૯ વર્ષિય દિવ્યરાજસિંહનું મોત

લોઠડાથી પરત આવતી વખતે કાર ઝાડમાં અથડાઇઃ આયુર્વેદિક ચીજવસ્તુનો વેપાર કરતાં હતાં: પરિવારમાં શોક : બે ભાઇમાં નાના હતાં: પિતા અરૂણસિંહ વેશુભા નિવૃત પોલીસ કર્મચારી

રાજકોટ તા ૧૯: લોઠડા નજીક રાત્રીના સમયે કાર રોડ નીચે ઉતરી ઝાડમાં અથડાતાં કારચાલક ઘંટેશ્વર પાસેની બ્રહ્મનાથ સોસાયટીમાં રહેતાં દિવ્યરાજસિંહ અરૂણસિંહ રાયજાદા (ઉ.વ.૨૯) નામના યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

એક કારને અકસ્માત નડ્યાની માહિતી આજીડેમ પોલીસને મળતાં હેડકોન્સ. સવજીભાઇ બાલાસરા અને હરપાલભાઇ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે તપાસ થતાં તેઓ ઘંટેશ્વર પાસે બ્રહ્મનાથ સોસાયટીમાં રહેતાં દિવ્યરાજસિહ રાયજાદા હોવાનું ખુલતાં તેમના સ્વજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિવ્યરાજસિંહ આયુર્વેદિક ચીજવસ્તુનો વેપાર કરતાં હતાં. તેમના પિતા અરૂણસિંહ વેશુભા રાયજાદા રાજકોટ પોલીસ હેડકવાર્ટરના નિવૃત કર્મચારી છે. દિવ્યરાજસિંહ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. લોઠડા તરફથી કામ પતાવી રાતે પરત રાજકોટ તરફ આવતી વખતે રસ્તામાં અચાનક કંઇક આડે આવતાં કાર પરનો કાબુ ગુમાવતાં રોડ નીચે ઉતરી ગઇ હતી અને ઝાડમાં અથડાતાં અકસ્માત સર્જાયાની શકયતા છે. યુવાન પુત્રના અચાનક મૃત્યુથી પરિવાર અને મિત્રોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:37 am IST)