Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

પરિણિતા તાબે ન થતા પથ્થરના ઘા ઝીંકીને હત્યા

જામકંડોરણાના ચરેલ ગામની ઘટના : વારંવાર છેડતી કરનાર યુવરાજસિંહ નામના શખ્સે પથ્થરોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારીને પોતે પણ ઝેરી દવા પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો

ધોરાજી : તાલુકાના ચરેલ ગામની પરિણીતાની હત્યા થતા સનસનાટી મચી ગઇ છે. તસ્વીરમાં મૃતક મહિલાનો મૃતદેહ અને તપાસ કરતી પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

ધોરાજી, તા. ૧૯ : રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના ચરેલ ગામની દલિત પરિણિતા સંગીતાબેન ભીખાભાઇ બોરીચા (ઉ.વ.ર૭) તાબે ન થતા યુવરાજસિંહ દરબાર નામના અપરિણિત યુવકે પથ્થરોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામકંડોરણાના ચરેલ ગામમાં ખેતમજૂરી કરતી પરિણિતા સંગીતાબેન ભીખાભાઇ બોરીચા (ઉ.વ.ર૭) ની અપરિણિત યુવરાજસિંહ પતુભાઇ દરબાર નામનો શખ્સ વારંવાર છેડતી કરતો હતો.

આજે બપોરે સંગીતાબેન બોરીચા રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે યુવરાજસિંહ પતુભા દરબાર નામના શખ્સે તેની સાથે બળજબરી કરી હતી, પરંતુ તે તાબે ન થતાં યુવરાજસિંહ નામના શખ્સે સંગીતાબેન ભીખાભાઇ બોરીચા નામની મહિલા ઉપર પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણા હોસ્પિટલમાં ખસેડેલ છે. હત્યા બાદ યુવરાજસિંહ પતુભા નામના યુવકે પણ ઝેરી દવા પી લઇને આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવારમાં ખસેડેલ છે.

આ બનાવની જાણ થતાં જેતપુર ડીવાયએસપી સાગર બાગમાર, જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહિલ અને સ્ટાફે હાથ ધરી છે.

આ બનાવ અંગે મૃતક પરિણિતાના પતિ ભીખાભાઇ દાનાભાઇ બોરીચાએ ફરીયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)