Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સરધારના લાખાપર ગામના જગદીશભાઇ કુમારખાણીયાનું કારની ઠોકરે ચડતાં મોત

સરધાર કામ સબબ જતા'તાઃ પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કોળી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૯: સરધાર નજીક આવેલા લાખાપરના કોળી યુવાનને બાઇક સહિત કારના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર રોડ સાઇડમાં ઉંધી વળી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ લાખાપર રહેતાં જગદીશભાઇ પોપટભાઇ કુમારખાણીયા (ઉ.૪૦) નામના યુવાન ગત સાંજે સાડા છએક વાગ્યે પોતાનું મોટર સાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે લાખાપરથી ચારેક કિ.મી. આગળ રાજકોટ ભાવનગર હાઇવે પર અલ્ટો કાર નં. જીજે૩ઇએલ-૮૧૮૯ના ચાલકે ઠોકરે ચડાવતાં જગદીશભાઇ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જીતુભાઇ ભમ્મર અને યોગરાજસિંહે હોસ્પિટલે પહોંચી મૃતકના ભાઇ રસિકભાઇ પોપટભાઇ કુમારખાણીયા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર જગદીશભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં. તેના ભાઇ રસિકભાઇ જીઇબીમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે પોતે સાંજે ઘરે હતાં ત્યારે તેના કોૈટુંબીક ભાઇ ભુપતભાઇએ જાણ કરી હતી કે જગદીશભાઇનું એકસીડન્ટ થયું છે. આથી પોતે ત્યાં દોડી ગયા હતાં અને જગદીશભાઇને સારવાર માટે ખસેડ્યા હતાં. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર રોડ સાઇડમાં ઉંધી વળી ગઇ હતી.

મૃત્યુ પામનાર કડીયા કામની મજૂરી કરતાં હતાં અને કામ સબબ સરધાર તરફ જવા નીકળ્યા ત્યારે અકસ્માત નડ્યો હતો. તેના મોતથી એક દિકરો અને એક દિકરીએ  પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:57 am IST)