Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વઢવાણના ઝાંપોદરની સીમમાં પિતરાઇ ભાઇ-બહેનનો આપઘાત

બંને રવિવારે ઘરેથી નીકળી ગયા બાદ મૃતદેહ મળ્‍યા

વઢવાણ તા. ૧૮ : વઢવાણના ઝાંપોદર ગામની સીમમાં પિતરાઇ ભાઇ - બહેને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

વઢવાણ તાલુકાના ઝાંપોદડ ગામમાંથી રવિવારે યુવક અને યુવતી ઘરે કીધા વગર નીકળી ગયા હતા. ત્‍યારે સોમવાર વાડલા ગામ તરફના ગાડા માર્ગે ઝાડ સાથે બંનેની લટકતી લાશો મળતા ચકચાર ફેલાઇ હતી. પોલીસે બંનેની લાશોનુ પીએમ કરાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વઢવાણ તાલુકાના ઝાંપોદડ ગામમાં ૨૧ વર્ષના નરેશ ઉર્ફે કુકો ધનજીભાઈ રાતોજા તેમજ ૧૮ વર્ષનમીનાબેન સાગરભાઈ રાતોજા પોતાના પરિવારો સાથે રહેતા હતા. રવિવારના રોજ બંન્ને પોતાના ઘરના પરિવારોને કંઇપણ કહ્યાવગર નીકળી ગયા હતા. જેની જાણ થતાં બંનેના પરિવારજનોએ ચિંતાની લાગણી સાથે બંનેની શોધખોળ કરી પરંતુ કોઇ અત્તોપત્તો લાગ્‍યોન હતો. ત્‍યારે ઝાંપોદડથી વાડલા ગામ તરફ આવેલા ગાડા માર્ગે ઝાડ સાથે યુવક અને યુવકની લાશ લટકતી હોવાની વાત વાયુવેગે ફેલાતા આજુબાજુ ગામ સહિતના વિસ્‍તારોમાં ચકચાર ફેલાઇ હતી.

વઢવાણ પોલીસને પણ આ લાશો બાબતે જાણકારી મળતા ઘટના સ્‍થળે પીએસઆઈ એચ.આર.જેઠ્ઠી, ધીરેશભાઈ, મુકેશભાઈ સહિતની ટીમ ધસી ગઇ હતી. તપાસ બાદ આ બંને યુવક-યવતીઓ ઝાંપોદડ ગામના નરેશભાઈ અને મીનાબેન હોવાનું બહાર આવ્‍યુ હતું.

આ ઘટના અંગે મૃતક મીનાબેનના પિતા સાગરભાઈ રાતોજાએ વઢવાણ પોલીસ મથકે બંન્નેએ અગમ્‍ય કારણોસર પોતાની જાતે ઝાડ ઉપર કેબલવાયર બાંધી ગળે ફાંસો ખાઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે. બીજી તરફ બંનેના મોતનું સાચુ કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(1:31 pm IST)