Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સાળંગપુરમાં શ્રી સ્‍વામિનારાયણ ભગવાન જન્‍મોત્‍સવ પૂ. મહંત સ્‍વામીની ઉપસ્‍થિતિમાં ઉજવાયો

૨૪૩માં પ્રાગટય મહોત્‍સવમાં હરિભક્‍તો અને સંતોની ઉપસ્‍થિતિ : ‘મહાન રૂષિ મહંત સ્‍વામી મહારાજ' પુસ્‍તકનું પૂ. વિવેકસાગર સ્‍વામીના હસ્‍તે કરાયુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૮ : તીર્થધામ સારંગપુર ખાતે ભગવાન શ્રીસ્‍વામિનારાયણના ૨૪૩માં પ્રાગટ્‍ય મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી પરમ પૂજય મહંતસ્‍વામી મહારાજની પ્રત્‍યક્ષ ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી.

BAPS સંસ્‍થાના આધ્‍યાત્‍મિક વડા પ.પૂ. મહંતસ્‍વામી મહારાજ અમેરિકા રોબિન્‍સસ્‍વિલેમાં ભવ્‍ય અક્ષરધામ અને અબુધાબી ખાતે BAPS હિન્‍દુ મંદિરની પ્રતીષ્ઠા કરીને સારંગપુર પધાર્યા છે. આ પવિત્ર પર્વનો શુભારંભ તેઓનાં પૂજાદર્શનથી સવારે ૬.૩૦ થયો, ભક્‍તોને આશીર્વાદ અર્પતા જણાવ્‍યું કે, ‘ચૌદ લોકનું એક બ્રહ્માંડ તેવા અનંત કોટી બ્રહ્માંડ છે. તેમાંથી ભગવાન આ બ્રહ્માંડમાં આવ્‍યાં. અતિ કૃપાએ કરીને તેઓ આપણા જેવા થઈને, આપણી સાથે રહ્યાં. પ્રત્‍યેક જીવને કલ્‍યાણના માર્ગે આગળ વધારવા માટે અહીં આવ્‍યાં છે. આ કોઈ કલ્‍પના નથી પરંતુ, હકીકત છે.' પૂજા દર્શનના અંતે, નિવૃત્ત ૧૬૫ અધિકારી ડો. કિરીટભાઈ શેલત દ્વારા લખાયેલ પુસ્‍તક મહાન ઋષિ મહંતસ્‍વામી મહારાજ' પુસ્‍તકનું વિમોચન સદ્‌ગુરૂવર્ય પૂજય વિવેકસાગર સ્‍વામીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

ભગવાન સ્‍વામિનારાયણના જન્‍મોત્‍સવની મુખ્‍ય સભા સાંજે ૮ થી રાત્રે ૧૦.૩૦ સુધી ભવ્‍યતા-દિવ્‍યતાથી ઊજવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂહરિ શ્રીમહંતસ્‍વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં નિત્‍ય ગવાતી એતહાસિક આરતીની પંક્‍તિઓ પર વિશેષ પ્રવચનોની શૃંખલા રચવામાં આવી હતી. જેમાં સંસ્‍થાના સદગુરૂવર્ય સંત પૂજય ડોક્‍ટર સ્‍વામી, પૂજય ભક્‍તિપ્રિય સ્‍વામી તથા પૂજય વિવેકસાગર સ્‍વામી, સાથે સંસ્‍થાના વરિષ્ઠ સંતો પૂજય નારાયણમુનિ સ્‍વામી, પૂજય ભદ્રેશ સ્‍વામી, પૂજય ભક્‍તિસાગર સ્‍વામી, પૂજય આત્‍મતૃપ્ત સ્‍વામી તથા પૂજય આદર્શજીવન સ્‍વામી આદિ સંતોએ આરતી ઉપર સુંદર મનનીય પ્રવચન કર્યા. સ્‍વયં પરમ પૂજય મહંતસ્‍વામી મહારાજે પણ આશિષ અર્પ્‍યા. જેમાં તેઓએ ભગવાનના વિશેષ મહિમાગાન દ્વારા ભગવાન શ્રી રામ તથા ભગવાન સ્‍વામિનારાયણના ચરણોમાં ભક્‍તિઅર્ધ્‍ય અર્પણ કર્યું હતું .

૭૦૦૦થી વધુ ભક્‍તો અને ૪૫૦થી વધુ સંતોએ આ મહોત્‍સવનો પ્રત્‍યક્ષ લાભ લીધો. ખરેખર, સમગ્ર દિવસ દરમ્‍યાન BAPS સંસ્‍થાના લાખો ભક્‍તોએ કરેલ નિર્જળા ઉપવાસ અને સભામાં કરેલુ કથાવાર્તાનું શ્રવણ આદિ સૌને અહોભાવ ઉપજાવે છે, જે ભગવાન સ્‍વામિનારાયણના ચરણોમાં તેઓના જન્‍મોત્‍સવે ભક્‍તોની યથાર્થ શ્રદ્ધાંજલિ છે.

(12:13 pm IST)