Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભાનુશાળી કેસ : બે શાર્પ શૂટર હવે ૧૨ દિનના રિમાન્ડ ઉપર

નવી ચોંકાવનારી વિગત ખુલે તેવા સ્પષ્ટ સંકેત : સઘન સુરક્ષા વચ્ચે આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા

અમદાવાદ, તા. ૧૮ : સનસનાટીપૂર્ણ જ્યંતિ ભાનુશાળી હત્યા કેસના સંદર્ભમાં વોન્ટેડ રહેલા બે શાર્પશૂટરોને આજે ૧૨ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. શશીકાંત અને અનવર શેખને ૧૨ દિવસના રિમાન્ડ પર લેવાનો કોર્ટે હુકમ કર્યો હતો. બંનેની હાલમાં જ ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા બાદ તેમના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બંને શાર્પ શૂટરોને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા બાદ કોર્ટે તેમને રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો. અત્રે નોંધનિય છે કે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાની એક હોટલમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. બે શાર્પશાૂટરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ અને હવે રિમાન્ડ મંજુર કરાયા પછી કેટલીક નવી ચોંકાવનારી વિગતો ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે ૭મી જાન્યુઆરીના દિવસે અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બે શાર્પશૂટરો દ્વારા  હત્યા કરવામાં આવી હતી. ભાનુશાળીની હત્યા કર્યા બાદ આરોપીઓ ચેઇન ખેંચીને ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને ફરાર થઇ ગયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, છબીલ પટેલ અને મલિક ગોસ્વામી આ કેસ પાછળ મુખ્ય કાવતરાખોર છે.

ડાંગ જિલ્લામાં કોઇ જગ્યાએ છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ આતંકવાદ વિરોધી ટીમના સભ્યોએ કાર્યવાહી હાથ ધરી હતી.વરિષ્ઠ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ભાનુશાળીની હત્યાના મામલામાં સંડોવાયેલા બે શાર્પશૂટરોને પકડી પાડવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, મંગળવારના દિવસે ભચાઉ કોર્ટે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

 છબીલ પટેલ ભાનુશાળી હત્યા કેસની પાછળ મુખ્ય આરોપી હોવાની આશંકા છે. કોર્ટે ક્રિમિનલ પ્રોસીડર કોડની કલમ ૭૦ હેઠળ આ વોરંટ જારી કર્યું છે. રેલવે પોલીસની રજૂઆત એવી છે કે, છબીલ પટેલ તપાસમાં સહકાર કરી રહ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૧મી ફેબ્રુઆરીના દિવસે પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ વિદેશમાં છે અને આ મામલામાં નિર્દોષ છે. આ ઉપરાંત તેઓ આ કેસના સંદર્ભમાં પોલીસ અધિકારીઓનો સહકાર ભારત આવ્યા બાદ કરશે.

(8:49 pm IST)