Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાજુલામાં આંદોલનમાં આવતા પરેશભાઈ ધાનાણી સહિતના ધારાસભ્યોને રસ્તામાં રોકી દીધા

અંબરીશભાઈ ડેરની આગેવાનીમાં રેલ્વે પ્રશ્ને સવિનય કાનૂન ભંગ કરીને રેલ રોકો આંદોલન પહેલા તંત્રની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૭ :. અમરેલી જીલ્લાના રાજુલામાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની આગેવાનીમાં રેલ્વે જમીનના પ્રશ્ને છેલ્લા ૧૦ દિવસથી આંદોલન ચાલી રહ્યુ છે. જેમાં આજે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, પૂંજાભાાઈ વંશ સહિત ૧૨થી ૧૫ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો રાજુલા આંદોલનને સમર્થન આપવા માટે આવી રહ્યા હતા ત્યારે તેઓને રસ્તામાં જ તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યા છે. આ અંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેરએ 'અકિલા'ને જણાવ્યું હતુ કે, તંત્ર દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને આંદોલનમાં આવતા રોકીને ભાજપ સરકાર દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરવામાં આવ્યો છે.

અંબરીશભાઈ ડેરએ વધુમાં જણાવ્યુ છે કે આજે બપોરના ૧૨ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે અને રેલ્વે તંત્ર દ્વારા મિટીંગ કરવામાં આવનાર છે જે પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આજે બપોરના ૧૨ વાગ્યા બાદ સવિનય કાનૂન ભંગ સાથે રેલ્વે આંદોલન કરાશે.

નોંધનીય બાબત છે કે નગરપાલિકાના રેલ્વેની જગ્યા જોઈએ છે જેમા સર્કલ તેમજ રસ્તા પહોળા કરવા બાગ બગીચા સહિતની વસ્તુઓ બનાવી છે તે માટે રેલ્વેની જગ્યા માગણી કરી છે પરંતુ રેલ્વે તંત્ર દ્વારા આજ દિન સુધી જગ્યા આપી નથી.

(11:38 am IST)