Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જૂનાગઢના ભુવાટીંબીમાં ભાજપના ઉમેદવાર સામે લોકોનો હલ્લાબોલઃ વિરોધ કરીને કાર્યક્રમમાંથી હાંકી કાઢ્યા

રાજકોટ :હાલ બંને પક્ષોના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, જેમાં કેટલાક ઉમેદવારોને લોકોના રોષનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જે ગામો વિકાસથી પછાત રહી ગયા છે, જ્યાં પાણીની સમસ્યાઓ છે ત્યાં લોકોએ ઉમેદવારો પર ફિટકાર વરસાવ્યો હતો. હાલમાં જ તેનો ભોગ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા બન્યા હતા, ત્યારે 2019ની ચૂંટણીના પ્રચારમાં લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે, ત્યારે હવે જુનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને કડવો અનુભવ થયો હતો, એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજેશ ચૂડાસમાને લોકોએ વિરોધ કરીને હાંકી કાઢ્યા હતા.

બન્યું એમ હતું કે, કોડીનાર તાલુકાના ભુવાટીંબી ગામે નકુમ પરિવારના કુળદેવી ભુવડધામ ખાતે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દેવાયત ખવડ તેમજ અન્ય કલાકારો, રાજકીય આગેવાનો સહિત 7 હજારથી વધુ લોકો ઉપપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા મહેમાન તરીકે આવ્યા હતા. તેમના આવતા જ લોકોએ હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો, અને હાંકી કાઢ્યા હતા.

સૌરાષ્ટ્રમાં પહેલેથી જ પાણીની સમસ્યા હોય છે, અને ઉપરથી ઉનાળો કાઢવો અતિશય આકરો બની જતો હોય છે. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે બીજી તરફ, મત માંગવા નીકળેલા ઉમેદવારો માત્ર ઠાલા વચન આપી જતા કનેસરા ગામના લોકો ગિન્નાયા હતા. તેમાં પણ રોષ સીધો જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા પર નીકળ્યો હતો. રાજકોટમાં પાણીને સમસ્યાને લઈને સ્થાનિકોએ કુંવરજી બાવળિયાને ઘેર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે વોટ માંગવા જસદણના કનેસરા ગામે ગયા હતા. ત્યારે ગામના લોકોએ પાણી મામલે બંને નેતાઓનો ઉઘડો લીધો હતો.

(5:36 pm IST)