Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

અમરેલીમાં કરિયાણાના વેપારી દલસુખભાઇ આચાર્યનું ઉંદર મારવાની દવા પી જતાં મોત

રામાનંદીસાધુ વૃધ્ધે રાજકોટમાં દમ તોડ્યોઃ ભુલથી પી ગયાનું સ્વજનોનું કથન

રાજકોટ તા. ૧૭: અમરેલીમાં તેરૈયા રોડ પર બસ સ્ટેશન પાસે રહેતાં અને ગામમાં કરિયાણાની દૂકાન ધરાવતાં દલસુખભાઇ જાનકીદાસ આચાર્ય (ઉ.૬૦) નામના રામાનંદીસાધુ વૃધ્ધે ગત સાંજે પાંચેક વાગ્યે ઉંદર મારવાની દવા પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે અમરેલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દલસુખભાઇ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. તેમને સંતાન નથી. તેઓ નાના ભાઇ વિનુભાઇ સાથે રહેતાં હતાં અને કરિયાણાની દૂકાન ચલાવતાં હતાં. ભુલથી ઉંદર મારવાની દવા પી લીધાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. અમરેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:48 am IST)