Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

સાવધાન : કોરાના સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

કચ્છ જિલ્લામાં લેવાયેલા ત્રણ સેમ્પલોમાંથી બેના રિપોર્ટ નેગેટિવ : અન્ય 1નો રિપોર્ટ બાકી :રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ 1997 અંતર્ગત જાહેરનામું

કચ્છ: કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવાયેલા ત્રણ સેમ્પલોમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અન્ય 1નો રિપોર્ટ બાકી છે. રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 રોગ અંગે એપેડેમીક એક્ટ 1997 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.

આ રોગ 122 દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 110 કેસ નોંધાયા છે અને 2 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં આ રોગનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે કચ્છમાં પણ કોરોનાથી ડરવાના બદલે સાવચેતી રાખવામાં આવે તેવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ જણાવ્યું હતું.

કચ્છ જિલ્લા પંચાયત મધ્યે કોરોના વાયરસ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો. પ્રેમકુમાર કન્નર અને સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ ઉપસ્થિત રહ્યાં હતા. અને તેઓએ સરકારી ગાઈડ લાઇન તેમજ અન્ય વિગતો પુરી પાડી હતી

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ત્રણ શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ ત્રણેય શંકાસ્પદ કેસના સેમ્પલોમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અન્ય 1નો રિપોર્ટ બાકી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરાના સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. .

(11:45 am IST)