Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ભાણવડના રાણપર ગામે દીપડો પાંજરામાં

ભાણવડ તા. ૧૭ : ભાણવડ તાલુકાના રાણપર ગામ વિસ્તારની આજુબાજુ દિપડો બરડા અભ્યારણ્યમાંથી અવાર-નવાર શિકાર કરવા માટે બહાર નિકળતો હોય અને માલ-ઢોર કે પાલતુ પશુ-પ્રાણીઓનો શિકાર કરતો હોવાનું અવાર-નવાર બને છે. જે અંગે રાણપર ગામના સરપંચ તથા ખેડૂતો તેમજ ગામ લોકો દ્વારા સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ કચેરીને જાણ કરતા હર્ષાબેન ડી. પંપાણીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજીક વનીકરણ રેન્જ ભાણવડના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સીદાભાઇ આર. વકાતર, કવાભાઇ બી. પાટડીયા, મધુબેન ડી. કરંગીયા, પરાગ બી. ત્રિવેદી, ઇબ્રાહીમભાઇ હિંગોરા, રાજેન્દ્રસિંહ ઝાલા, સુખદેવસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા રાણપર ગામની કેનાલ પાસેના વિસ્તારમાં આ બાબતે દિપડાના પગ માર્ક જોવા મળેલ જે અનુસંધાને દિપડાને પકડવા માટે રાણપરના રેવન્યુ વિસ્તારના કેનાલના પુલીયા પાસે પાંજરૂ રાખવામાં આવેલ.

 દિપડો પાંજરામાં પુરાયેલ ત્યારબાદ વન વિભાગ દ્વારા દિપડાને પાંજરા સાથે વન ચેતના કેન્દ્ર ઘુમલી ખાતે વન વિભાગના સ્ટાફની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે અને વેટરનરી ડોકટર દ્વારા દિપડાની શારીરિક તપાસ કર્યા બાદ બરડા અભ્યારણ્ય અથવા સાસણ ખાતે મુકત કરવામાં આવશે.

(11:46 am IST)