Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ગાંધીજી ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત , પદયાત્રા બની વિચારયાત્રા : મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 'ગાંધીકૂચ માર્ગ' નામકરણ

પાલીતાણા - ભાવનગર પંથકમાં યાત્રાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં લોકો ઉમટયા

ભાવનગર જિલ્લામાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જ્યાં પદયાત્રા કરેલ તે રૂટને ગઇકાલે ગાંધીકુચ માર્ગ નામકરણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર. ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીએ યાત્રા પ્રારંભ થયેલ તેને ગઇકાલે પ્રથમ વર્ષ પૂર્ણ થયુ છે.

રાજકોટ તા. ૧૭: વર્ષો પછી પણ જેઓ આપણા આદર્શ રહ્યા છે તેવા અહિંસાના પૂજારી પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત ગાંધી મૂલ્યો પર આધારીત પાલીતાણા પંથકની ૧૫૦ કિલોમીટરની ૧૫૦ ગામોને જોડતી ,ગાંધીમૂલ્યો ના માર્ગે પદયાત્રા' ગત વર્ષ ૨૦૧૯માં તા.૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લામાં યોજાઈ હતી. તે ઐતિહાસિક દિવસની યાદમાં ગઇકાલે ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ  'પદયાત્રા દિવસ' તરીકે ઉજવણી સમારોહ યોજાયો હતો.

પદયાત્રા દિવસ ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ ગઇકાલે  સવારે ૦૮:૩૦ કલાકે મણાર ગામે ગ્રામદક્ષિણા મૂર્તિ સંસ્થા ખાતે સ્વાગત પ્રાર્થનાગીત સાથે થયો હતો. સૂતરની આંટીથી મંત્રીશ્રી માંડવિયા સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતુ.

પદયાત્રા વાળા ૧૫૦ કિલોમીટરના રૂટને 'ગાંધીકૂચ માર્ગ' નામાભિધાન તકતી ખુલ્લી મૂકાઈ હતી. દરમિયાન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ ગ્રામજનોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, 'નવી પેઢી ગાંધી મૂલ્યોને જાણે અને સાચા અર્થમાં સમજે તે ઉદ્દેશ સાથે પદયાત્રા કરવામાં આવી હતી. ગાંધી મુલ્યો જેટલા તેમના જીવન દરમિયાન પ્રસ્તુત અને શાશ્વત હતા એટલા જ આજે પણ શાશ્વત અને પ્રસ્તુત છે, અને ભવિષ્યમાં પણ રહેવાના છે.'

 ગાંધીજી એક રચનાત્મક ઉર્જાનો સ્ત્રોત હતા. સૃષ્ટિના સંચાલન માટે  ઊર્જા આવશ્યક છે. તે ઉર્જા હકારાત્મક હોવી આવશ્યક છે. તેમ ગાંધીજી ચોક્કસ પણે માનતા હતા. એટલે ભવિષ્યમાં વિશ્વએ પણ ગાંધીજીના આ માર્ગે જવાનું નિશ્ચિત છે. બુનિયાદી શાળાઓમાં એડમિશન માટે આ વર્ષે ધસારો થયો છે. તે સારી બાબત છે.તે  પદયાત્રાની ફળશ્રુતિ છે.

 

એક વર્ષમાં દેશભરમાંથી અલગ અલગ લગભગ ૨૫ થી વધુ  પદયાત્રામાં નિમંત્રણ મળ્યું છે, અને  ચોમેર ભાવનગર-ગુજરાતનું નામ પદયાત્રા માટે ગુંજી રહ્યું છે. હવે પદયાત્રા વિચારયાત્રા બની ગઈ છે. તેના પર મંત્રી માંડવિયા એક પુસ્તક પણ લખી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

આ ઐતિહાસિક પદયાત્રાના પદચિન્હ પ્રેેરણાદાયક બની રહ્યા છે. પદયાત્રા ભવિષ્યની પેઢીને નવી ઉર્જા અને ગાંધીમૂલ્યોની ભેટ આપશે તેમાં કોઈ અતિશયોકિત નથી.

પદયાત્રાના ૧૫૦ કિલોમીટરના માર્ગ પર આવતા ગામોમાં લોકો એ મંત્રીશ્રીના મોટા સમુહનું ભારે ઉત્સાહ સાથે અદકેરું સ્વાગત કર્યું હતું.ગામે ગામ ગાંધીજી અમર રહો ના નારા લગાવ્યા હતા. ઠેરઠેર સભા, બેઠક, વિવિધ સુવિધાઓના ઉદ્ઘાટન,  અનાવરણ, ખાતમુહૂર્ત યોજાયા હતા.

બીજી બાજુ યાત્રારૂટ પર વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે મળી ગામને સજાવ્યા હતા. રંગબેરંગી રંગોળી, દિવાલ સુશોભન,બેનર, મહેંદી હરીફાઈ, ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, ગાંધીજીવન આધારીત ફિલ્મ શો, સાંસ્કૃતિ કાર્યક્રમો વગેરે યોજાયા હતા.

મણાર, બાબરવા, ત્રાપજ, બેલા, મોટી પાણીયાલી, માયધાર, પિંગળી, ઉમરલા, દુધાળા, ઘેટી, વાલુકડ, લાખાવાડ, સમઢીયાળા, ભદ્રાવળ, અનીડા, રતનપુર, આકોલાળી, રાણપરડા,  પીથલપુર, જમણવાવ, હણોલ, બહાદૂરગઢ, વડિયા, નોંધણવદર, સણોસરા સહિતના ગામો ગાંધીજીના રંગે રંગાયા હતા.  સણોસરા લોકભારતી સંસ્થા ખાતે પ્રાર્થના સભા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

(11:42 am IST)