Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેવાબાપાના આશ્રમ પાસે જમીનની તકરારમાં ફાયરીંગઃ મહંત વિરજીભગત સહિત ૧૧ સામે ગુન્હો

ફાયરીંગમાં રાજપરાના ધનજીભાઈ કોળીને ઈજા થતા રાજકોટ ખસેડાયાઃ ધનજીભાઈએ જગ્યાની બાજુમાં આવેલ જમીન ખરીદેલ હોય : તેનો કબ્જો વિરજી ભગત પાસે હોય કબ્જા બાબતે ડખ્ખો થતા મહંતના સાગ્રીત નારણએ બંદુકના જોટામાંથી ભડાકા કર્યા

વાંકાનેર, તા. ૧૭ :. વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ દેવાબાપાના આશ્રમની જગ્યાની બાજુમાં આવેલ જમીનની તકરારમાં આશ્રમના મહંતના સાગ્રીતો સહિતના ૧૧ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી રાજપરાના કોળી યુવાન પર ફાયરીંગ કરી કારમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરીયાદ થતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા ધનજીભાઈ હમીરભાઈ રોજાસરા કોળીએ આરોપી દલસુખ વિરજીભાઈ, નારણભાઈ, વિરજીભગત તથા અન્ય ૭ થી ૮ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોેલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ ફરીયાદીને દેવાબાપાની જગ્યાના મહંત વિરજીભગત સાથે જમીનના કબ્જા બાબતે મનદુઃખ હોય અને ગઈકાલે ફરીયાદી તેના મિત્રો સાથે આશ્રમની બાજુમાં ખરીદેલ જમીનની માપણી કરવા જતા દેવાબાપાની જગ્યાના મહંત વિરજી ભગતના કહેવાથી તેનો પુત્ર દલસુખ વિરજીભાઈ તથા નારણભાઈ ૭ થી ૮ અજાણ્યા શખ્સો સાથે ગેરકાયદેસર મંડળી રચી લાકડી, ધોકા, પાઈપ અને બંદુકના જોટા જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

તેમજ આરોપી નારણએ પોતાની પાસેના બંદુકના જોટામાંથી ફાયરીંગ કરતા ફરીયાદી ધનજીભાઈ કોળીને જમણા હાથ તથા બન્ને પગમાં ગંભીર ઈજા થતા તેઓ પડી ગયા હતા. ફાયરીંગની ઘટના બાદ તમામ આરોપીઓ નાસી છૂટયા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્ત ફરીયાદી ધનજીભાઈ કોળીને પ્રથમ ચોટીલા અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ મધુરમ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરીયાદી ધનજીભાઈ આજથી ચારેક વર્ષ પહેલા વાંકાનેર બાઉન્ટ્રીની બાજુમાં આવેલ દેવાબાપાની જગ્યા પાસે આવેલ ૯ વિઘા જમીન ૬૦ લાખ રૂપિયામાં ઠીકરીયાળી ગામના ધનજીભાઈ રણછોડભાઈ કોળી પાસેથી ખરીદેલ હતી. આ જમીનનો કબ્જો દેવાબાપાની જગ્યાના મહંત વિરજીભગત પાસે હતો. ફરીયાદી ધનજીભાઈને રૂપિયાની જરૂર પડતા ૯ વિઘા જમીનમાંથી એક એકર જમીન રાજકોટના પ્રવીણભાઈ ઉર્ફે લાલાભાઈ રાવળને વેચી હતી અને તેનુ સાટાખત કરી આપેલ હતું. વેચેલ જમીનના કબ્જા બાબતે મહંત વિરજીભગતને મળતા તેઓએ કહેલ કે જમીનની માપણી કરી જમીન લઈ લેજો ત્યાર બાદ ફરીયાદી ધનજીભાઈ આ જમીનની માપણી કરવાનું નક્કી કરતા દેવાબાપાની જગ્યામાંથી મહંત વિરજીભગતનો પુત્ર દલસુખ તથા નારણ પાંચવડાવાળો અને બીજા ૭ થી ૮ શખ્સોએ ધસી આવી કારમાં તોડફોડ કરી હતી અને બાદમાં નારણએ તેના બંદુકના જોટામાંથી ફાયરીંગ કરી ખૂની હુમલો કર્યો હતો.

વાંકાનેર તાલુકા પોલીસે મહંત વિરજીભગત સહિત ૧૧ સામે ગુન્હો દાખલ કર્યો છે. વધુ તપાસ તાલુકાના પીએસઆઈ આર.પી. જાડેજા ચલાવી રહ્યા છે.

(11:29 am IST)