Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

કચ્છના નખત્રાણાના વિગોડી ગામમાં શિવ મંદિરમાં કૂબેર ભંડારીની પ્રતિમાને પથ્થરો મારીને તોડતા રોષ

ભુજ તા. ૧૬ :.. પવિત્ર શ્રાવણ માસમાં ગામે ગામ ભકિતના ઘોડાપુર ઉમટી રહ્યા છે, ત્યારે નખત્રાણા તાલુકાના વિગોડી ગામે અજાણ્યા અસામાજિક તત્વોએ ગામના મહાદેવ મંદિરમાં આવેલી કુબેર ભંડારી દેવની પ્રતિમાને પથ્થરો મારી તોડી નાખતાં રોષ ફેલાયો છે. પ્રાથમિક વિગતો અનુસાર ગત મધરાત્રીથી વહેલી સવારમાં ગમે ત્યારે આ બનાવ બન્યો છે. સવારે પુજારી મંદિરે પહોંચતા તેમના ધ્યાને આ બાબત આવી હતી. પ્રતિમા ગર્ભગૃહની બહાર એક નાનકડી દેરીમાં રખાયેલી હતી.

બનાવ અંગે જાણ થતાં સમસ્ત ગ્રામજનોમાં રોષ ફેલાઇ ગયો હતો. લોકોની ધાર્મિક લાગણી દુભાવવાના બદઇરાદે કોઇકે આ અટકચાળું કર્યુ હોવાનું મનાય છે. બનાવ સંદર્ભે ગામના હિંદુ-મુસ્લિમ સમાજના ભાઇઓ એકજૂટ થઇ હાલ નખત્રાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા પહોંચ્યા છે. પીએસઆઇ જી. કે. ભરવાડ ફરીયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું છે.

(4:21 pm IST)