Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

દેશને અખંડ રાખવાની જવાબદારી યુવાનોનાં શિરેઃ રમણલાલ પાટકર

જસદણમાં રાજકોટ જીલ્લાકક્ષાનાં સ્વાતત્ર્ય પર્વની ધામધુમથી ઉજવણીઃ આદિજાતી વિકાસમંત્રીનાં હસ્તે ધ્વજવંદન : જસદણ તાલુકાનાં વિકાસમાટે ૨૫ લાખનો ચેક અર્પણઃ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માનઃ દેશભકિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને હોમગાર્ડ ત્થા એન.સી.સી.નાં જવાનોની પરેડે લોકોને મોહી લીધા

રાજકોટ-જસદણ તા.૧૬: ઓગષ્ટ- સમગ્ર દેશમાં ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી. મોડેલ સ્કૂલ, જસદણ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી રમણલાલ પાટકરે ત્રિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનમાં જોડાઈ આ મહાપર્વમાં સહભાગી બન્યા હતા..

મંત્રીશ્રી રમણલાલ પાટકરે આઝાદી પર્વની શુભેચ્છા પાઠવતા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને જનસમૂહને જણાવ્યું હતું કે, દેશને આઝાદ કરાવવા અનેક વીર સપૂતોએ બલિદાન આપ્યા છે, દેશના સાર્વભૌમત્વને અખંડ રાખવાની જવાબદારી  સૌ કોઈ યુવાનોના શિરે છે. આજનો પર્વ ખાસ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ અને પૂ. બાપુના અખંડ ભારતના સ્વપ્નને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની આગેવાની હેઠળ જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ કલમ દૂર કરી પૂર્ણ કરેલ છે.

ગુજરાતના સર્વાંગી વિકાસની રાજય સરકારની પહેલને બિરદાવતા શ્રી પાટકરે જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજયનો તમામ સ્તરે વિકાસ થયો છે.

 જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા તથા જિલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીનાની આગેવાની હેઠળ મંત્રીશ્રી રમણલાલ પાટકરે શહેર પોલીસ, ટ્રાફિક પોલિસ, બિન-હથિયારધારી પોલિસ વગેરે વિભાગો દ્વારા રજુ કરાયેલી પરેડનું ખુલ્લી જીપમાં નિરીક્ષણ કર્યુ હતું. ઉપસ્થિત રાષ્ટ્ર પ્રેમી જનતાના અભિવાદન બાદ મંત્રીશ્રી રમણલાલે સ્વાતંત્ર્ય સેનાની શ્રીમતી જશુમતીબેન રાવલનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. રાજકોટ તાલુકાના વિકાસ માટે રાજય સરકારે આપેલોઙ્ગ રૂ. ૨૫ લાખનો ચેક મંત્રીશ્રીએ કલેકટરશ્રીને એનાયત કર્યો હતો. શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના વિશિષ્ટ વ્યકિતઓનું આ પ્રસંગે મંત્રીશ્રીએ સન્માન કર્યુ હતું,

આ પ્રસંગે દેશદાઝથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા, જેમાં જસદણની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ 'જય હો'ગીત પર સુંદર ડાન્સ રજુ કર્યો હતો. વિછીયાની કે.જી.બી.વી. સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન કર્યું હતું. એસ.પી.એસ આટકોટની શાળાના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિફેન્સના દાવ રજુ કર્યા હતા. ઓમકાર વિદ્યાલય જસદણના વિદ્યાર્થીઓએ 'નહી તીર તલવાર' ગીત પર સુંદર રજુઆત કરી હતી. વી.પી. હાઇવે વીરનગરના વિદ્યાર્થીઓએ દંગલ ગીત, આસ્થા સ્કુલના વિદ્યાર્થીઓએ પુલવામાં થીમ પર હૃદયદાવક રજુઆત કરી હતી. એમ.બી અજમેરા સ્કુલના વિદ્યાર્થીઓએ 'દૂધે તે ભરી તલાવડી' ગીત પર ગરબા રજૂ કર્યા હતા. અમરાપુર આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પિરામિડ કૃતિ રજૂ કરી હતી તેમજ નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્ય રજૂ કરી સૌ કોઈને રોમાંચિત કરી દીધા હતા.

મંત્રીશ્રી તેમજ મહાનુભાઓ દ્વારા કૃતિ રજુ કરનાર બાળકોને પ્રોત્સાહનરૂપે ધનરાશિ આપવામાં આવી હતી જયારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઈ સખીયા તેમજ નીતાબેન અંતાણીએ કર્યું હતું.

કાર્યક્રમના અંતે મહાનુભાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા આ પ્રસંગે વિના મૂલ્યે રોપા વિતરણ કરાયું હતું.

સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે સરદાર પટેલ જળસંચય યોજના ના ચેરમેન ડો. ભરતભાઈ બોદ્યરા, નગરપાલિકા પ્રમુખ પ્રજ્ઞેશભાઈ હિરપરા, મેહુલભાઈ બરાસરા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના, પ્રાંત અધિકારીશ્રી એ. એચ.ઙ્ગ ચૌધરી, મામલતદારશ્રી ધાનાણી, ચીફ ઓફિસરશ્રી પરાક્રમસિંહ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એન જી વ્યાસ, યુવક સેવા અને સાંસ્કૃતિક અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ વાદ્યેલા, અગ્રણિઓ સર્વેશ્રી ભીખાભાઇ, ભરતભાઈ, મનસુખભાઇ, પંકજભાઈ, કાજલબેન, સ્વાતંત્ર સેનાની, જિલ્લાના તથા નગરના વરિષ્ઠ નાગરિકો, વિવિધ શાળાના છાત્રો, વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ તથા દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

(11:42 am IST)