Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

માધવપુરનો મેળો માણવા આવતા લોકોના આરોગ્‍યની

તકેદારી માટે તંત્ર સજાગ : ૧૨ ફુડ સેફટી ઓફિસરો ખડેપગે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ : માધવપુરનો મેળો માણવા આવતા લોકોના આરોગ્‍યની તકેદારી રાખવા ૧૨ ફૂડ સેફટી ઓફિસર ખડેપગે ફરજ બજાવશે. માધવપુરના લોકમેળામાં અખાદ્ય વસ્‍તુઓનું વેચાણ અટકાવવા જુનાગઢ, અમરેલી, ભાવનગર, પાલનપુર, હિંમતનગરથી ફૂડ સેફટી ઓફિસરની ટીમ ફરજ બજાવશે. બે લાયઝનિંગ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી વાન પણ મુકાશે.

માધવપુર ઘેડ ખાતે આવતીકાલે તા. ૧૭ એપ્રિલથી રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ભગવાન શ્રીકળષ્‍ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે લોકમેળાનો શુભારંભ થનાર છે. લોકમેળામાં માત્ર પોરબંદર જિલ્લામાંથી જ નહિ પરંતુ અન્‍ય જિલ્લાઓમાંથી પણ માનવ મેહેરામણ ઉમટી પડશે. ભગવાન મધવરાયજીના દર્શને અને લોકમેળાની મોજ માણવા આવતા માનવ મહેરામણના આરોગ્‍યની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવશે. જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ અખાદ્ય વસ્‍તુઓનું વેચાણ ન થાય તેના માટે ફૂડ સેફટી ઓફિસરોની ટીમ તૈનાત રાખવામાં આવશે.

મેળો માણવા આવતા લોકોના આરોગ્‍યની તકેદારી રાખવા ૧૨ ફૂડ સેફટી ઓફિસર ફરજ પર રહેશે. અખાદ્ય વસ્‍તુઓનું વેચાણ અટકાવવા જુનાગઢની બે, અમરેલીની એક, ભાવનગરથી ત્રણ, પાલનપુરથી બે, હિંમતનગર બે ફૂડ સેફટી ઓફિસરની ટીમ ફરજ બજાવશે. બે લાયઝનિંગ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી વાન પણ આવશે.

આ મેળામાં ફૂડ સ્‍ટોલની ચકાસણી સહિતની વિવિધ કામગીરી કરવામાં આવશે. ખાણી પીણીના સ્‍ટોલની સતત ચકાસણી કરવા ફૂડ સેફટી ઓફિસરની ટીમો ફરજ બજાવશે. મેળા દરમિયાન ખાણીપીણીના સ્‍ટોલનું સતત ચેકિંગ કરી વાસી ખોરાકનો નાશ કરવાની કામગીરી કરવામાં આવશે. બિન આરોગ્‍યપ્રદ, અખાદ્ય ખોરાક વેચનાર પર ચાંપતી નજર રાખવામાં આવશે. ખાણીપીણીના સ્‍ટોલના ધારકોને સ્‍થળ પર જ ફૂડ રજીસ્‍ટ્રેશનની અરજી કરાવી સ્‍થળ પર જ ફૂડ રજીસ્‍ટ્રેશનનું લાઇસન્‍સ ઇસ્‍યુ કરવાની કામગીરી કરી આપવામાં આવશે. તેમજ ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એન્‍વયે કામગીરી કરવામાં આવશે. ખાણી પીણીના સ્‍ટોલ ધારકોને હાઈજીન અને સ્‍વચ્‍છતા રાખવા અંગે માહિતગાર કરવામાં આવશે.

જુનાગઢ ખાતેથી ફુડ સેફટી વાન તેમજ તેની ટીમને બોલાવી સમગ્ર મેળા દરમિયાન દાઝીયા તેલ, દૂધની બનાવટો વગેરેનું ચેકીંગ થશે. ઉપરાંત ફૂડ સેફટી ઓફિસરની એક ટીમ રિઝર્વ રાખવામાં આવશે. લોકેશનમાં ફેરફારની પરિસ્‍થિતિમાં રિઝર્વ ટીમ ત્‍યાં પહોંચી જઇ ફૂટ સેફટી અંગેની કામગીરી કરશે. સમગ્ર કામગીરીનું ફુડ સેફટી તંત્રના અધિકારીઓ દ્વારા લાયઝનિંગ કરવામાં આવશે. મેળાની ઉજવણીના ભાગરૂપે લોકોના આરોગ્‍યની સુખાકારીને ધ્‍યાને લઈ ફુટ સેફટી વિભાગના અધિકારી, કર્મચારીઓ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવશે.

(10:39 am IST)