Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ટંકારામાં જબરો વિવાદઃ ભાજપના દુર્લભજીભાઇના સોગંદનામામાં ભૂલઃ ઉમેદવારી ફોર્મ રદ કરો : લલિતભાઇ કગથરાનો ધડાકો

ટંકારા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારે સોગંદનામામાં ખાનુ કોરૂ રાખ્‍યુ છે, ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ફોર્મ રદ થઇ શકે

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૫: ટંકારા વિધાનસભા બેઠક પર સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ તથા ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે વિશાળ રેલી યોજી સમર્થકોની ઉપસ્‍થિતિમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને બન્ને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. ત્‍યારે હવે ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ હોવાનો આક્ષેપ કોંગી નેતા લલિત કગથરાએ કર્યો છે.

લલિતભાઈ કગથરાના જણાવ્‍યા અનુસાર ફોર્મમાં એક પણ જગ્‍યા ખાલી છોડવાની ના હોય કે ડેશ પણ કરવાનું નથી હોતું છતાં પણ ભાજપનાં બંને ફોર્મમાં ડેશ કરવામાં આવ્‍યું છે. જેથી આ ફોર્મ રદ થવા પાત્ર હોવાનો તેમણે દાવો કર્યો હતો અને આ બાબતે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી હોવાનું મીડિયાને જણાવ્‍યું હતું.

મોરબી જિલ્લાની મહત્‍વની અને પાટીદારોનું પ્રભુત્‍વ ધરાવતી ટંકારા બેઠકનો તવારીખી ઇતિહાસ રોચક છે. વર્ષ ૧૯૬૨માં રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા અપક્ષ લડ્‍યા હતા અને જીત્‍યા હતા તો જે તે સમયે કેશુભાઇ પટેલે અહીંથી લડીને વટભેર જીતીને નાયબ મુખ્‍યમંત્રી પદ મેળવ્‍યું હતું. નોંધનીય છે કે આ બેઠક પર ૩ વાર કોંગ્રેસ, ૨ વાર અપક્ષ અને ૭ વાર ભાજપના ઉમેદવાર વિજયી બન્‍યા છે. ત્‍યારે હવે ચૂંટણી પૂર્વે જ ભાજપ કોંગ્રેસ વચ્‍ચે તણખાં ઝરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે.

લલિતભાઇ કગથરા  શું કહે છે ?

આ અંગે કોંગ્રેસના ધારાસભ્‍ય અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ કગથરાએ અકિલાને જણાવ્‍યું હતું કે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જે સોગંદનામુ રજુ કરવામાં આવ્‍યું છે તે સોગંદનામામાં ખાનુ કોરૂ રાખ્‍યુ છે. જે નિયમ વિરૂદ્ધ છે. સોગંદનામામાં નિયમ છે કે ખાનુ કોરૂ રાખવાના બદલે નીલ અથવા તો આડો લીટો અથવા તો લાગુ પડતો નથી એવું લખવું જોઇએ પરંતુ તેવું લખ્‍યા વગર ખાનુ કોરૂ રાખેલ છે જે ચૂંટણી પંચના  નિયમ વિરૂદ્ધ છે. તેમના ડમી ઉમેદવાર અરવિંદભાઇનું ફોર્મ પણ ભૂલ ભરેલુ છે. આ અંગે તંત્રમાં રજુઆત કરવામાં આવી છે. હવે તંત્ર શું કરે છે તે જોવાનું રહ્યું.

દુર્લભજીભાઇ દેથરીયા શું કહે છે ?

આ અંગે ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઇ દેથરીયા એ અકિલાને જણાવ્‍યું હતું કે મારા ઉમેદવારી ફોર્મમાં કોઇ ભૂલ નથી હાલમાં હું મારા ચૂંટણી પ્રચાર માટે જુદા જુદા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરી રહ્યો છું.

(3:17 pm IST)