Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પોરબંદરમાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન

પોરબંદર :  પોરબંદર સ્થિત શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે બે દિવસીય સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતુ. જેમા જિલ્લાની વિવિધ શાળાઓના ૨૦  શિક્ષકોએ ૫૦ પ્રદર્શનો રજુ કર્યા હતા. શહેરીજનોએ, શિક્ષકોએ તથા બહોળી સંખ્યામા વિધાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યુ હતું. શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાયેલ સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાની કૃતિ રજુ કરનાર તળપદ અને ભાવપરા પ્રા. શાળાના શિક્ષિકા બહેનો ડોડીયા તારા બહેન અને સીંગરખીયા પિન્ટુ બહેને કહ્યુ કે, ગણીત વિજ્ઞાન પ્રદર્શનની સાથે સાથે સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાય તે પણ ખાસ જરૂરી છે. વિધાર્થીઓ સામાજિક વિજ્ઞાનને ખુબ જ સરળતાથી સમજી શકે, અભ્યાસમાં રસ કેળવે માટે આ પ્રકારના પ્રદર્શનો યોજાવા જોઇએ. વિધાર્થીઓ સરળતાથી દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન જોઇ શકે, વિશ્વની સંસ્થાઓના પ્રતીકો, જલાવરણ, જીવાવરણ, વાતાવરણ, પૃથ્વીના મહાસાગરો સરળતા થી યાદ રાખી સમજી શકે માટે કાવ્ય, ગીત દ્રારા દરરોજ શાળામાં પ્રાર્થના સમયે આ પ્રકારના કાવ્યો, ગીત વિધાર્થીઓને બોલાવવા જેથી યાદી રાખવામા સરળતા રહે છે. પ્રાથમિક શિક્ષણ બાળકનાં દ્યડતરનો પાયો છે. જો પાયો જ મજબુત નહીં હોય તો બાળકની શૈક્ષણિક ઇમારત ધરાસયી થવાની સંભાવના રહે છે. વિધાર્થીઓનો સર્વાગી વિકાસ થાય. વિધાર્થી પ્રાથમિક શાળામાં વધુ ને વધુ રસ કેળવી જ્ઞાન સાથે ગમ્મત મેળવે  અને ભવિષ્યનું દ્યડતર કરે તે માટે રાજય સરકાર દ્રારા સતત અવનવા પ્રયોગો, શાળા કાર્યક્રમો યોજાતા હોય છે. સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં વિશ્વનાં ૩૮ દેશોના ચલણી નોટો અને ભારતના જુના નવા ચલણનું પ્રદર્શન કરનાર સી. આર. સી. કો.ઓર્ડીનેટર ખુટી લાખાભાઇએ કહ્યુ કે, વિધાર્થીઓ વિશ્વના દેશોનાં ચલણથી વાકેફ થાય તે હેતુથી વિશ્વના ૩૮ દેશોની ચલણી નોટો પ્રદર્શિત કરી. સામાજિક વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવેલા શિક્ષિકા અખીયા રવીભાઇ અને કરગટીયા ઝાસલ બહેને કહ્યું કે, સામાજિક વિજ્ઞાન પ્રદર્શન થકી વિધાર્થીઓને આ વિષયનુ જ્ઞાન શીખવવામાં સરળતા રહે છે. અભ્યાસમાં રસ જાગે, વિધાર્થીઓ ગૃપમાં પ્રવૃતિ કરતા શીખે જેથી નવુ જાણવા સમજવા મળે છે. ડોકયુમેન્ટરી ફિલ્મના માધ્યમથી ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રદર્શિત કરનાર સી. આર. સી. અશોક ભાઇ રામાવતે કહ્યુ કે, બાળકો કોઇ વસ્તુ વિશે સાંભળે અને રૂબરૂ જુએ તો તેને સરળતાથી યાદ રહી જાય તથા વારેવારે સાંભળે જુએ જેથી વિષય મગજમાં સ્થાયી થઇ જાય છે. શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાયેલ બે દિવસીય સામાજિક વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. અલ્તાફભાઇ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની તસ્વીર.

(11:39 am IST)