Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

પિતાએ વાંચવા બાબતે ઠપકો દેતાં ધો-૧૦ના છાત્રનો સળગીને આપઘાત

પડધરીના સરપદડમાં બનાવઃ ૧૫ વર્ષના સુખરામ રાઠવાએ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૫: આગામી મહિને ધોરણ-૧૦ની પરિક્ષા છે ત્યારે પડધરીના સરપડદડમાં રહેતાં અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતાં સુખરામ મનુભાઇ રાઠવા (ઉ.૧૫)ને પિતાએ વાંચવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં તેણે આપઘાત કરી લીધો છે.

સુખરામ અને તેના પરિવારજનો સરપદડમાં નિમેષભાઇ બાબુભાઇની વાડીમાં રહે છે. ગઇકાલે બપોર બાદ સુખરામે પોતાના શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે પડધરી પોલીસને જાણ કરતાં એએસઆઇ પુજાબેને કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સુખરામ એસએસસીમાં અભ્યાસ કરતો હતો. આવતા મહિને તેની પરિક્ષા હોઇ પિતાએ રમવામાં નહિ પણ વાંચવામાં ધ્યાન આપવાનું  કહી બાબતે ઠપકો આપતાં તેને માઠુ લાગતાં આ પગલું ભરી લીધું હતું. સુખરામ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. આ પરિવાર મુળ છોટાઉદેપુરનો વતની છે. (૧૪.૫)

(11:52 am IST)