Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સાડીના ફોલછેડા-તોરણ બનાવીને ૨૦-૨૦ રૂ. બચાવીને પોસ્ટમાં જમા કર્યા અને પોસ્ટ એજન્ટ ચાંઉ કરી જતા માતાનો આપઘાત

જૂનાગઢમાં ૨ દિકરીના લગ્નના નાણા સહિત અનેક લોકો સાથે વિશ્વાસઘાત કરનાર ભરત પરમાર અને તેના પુત્રની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. જૂનાગઢમાં બે દિકરીના લગ્નનાં નાણા પોસ્ટ એજન્ટ ચાંઉ કરી જતા માતાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ મૃતક મહિલાના પતિએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ પરથી થતા ચકચાર મચી ગઈ છે.

પોસ્ટ ઓફિસનો ભરત પરમાર અને તેનો પુત્ર એજન્ટ નાના બચતકારોના નાણા ઓળવી જઈ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

આ પોસ્ટ એજન્ટ મારફત શહેરના આંબેડકર વિસ્તારમાં રહેતા અજાયબેન મકવાણા (ઉ.વ. ૪૦)એ પણ બચત પોલીસીમાં રૂ. ૫૦ હજારનું રોકાણ કરેલ.

જો કે ભરત પરમારે આ નાણાની છેતરપીંડી કર્યાની જાણ થતા અજાયમલબેને બે દિવસ અગાઉ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને મોતને મીઠુ કરી લીધુ હતું.

મૃતક મહિલાના પતિ પ્રવીણભાઈ દેવશીભાઈ મકવાણાએ પોલીસ ફરીયાદ કરતા સી-ડિવીઝન પોલીસે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર સામે વધુ એક ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રવીણભાઈએ જણાવેલ કે તેમના પરિવારમાં સાત સભ્યો હતા. પોતે તથા પત્નિ અને ૧૫ તથા ૧૬ વર્ષની બે દિકરી, ૧ દિકરો તેમજ મા-બાપ છે.

મા-બાપની ઉંમર થઈ હોય તેઓ કમાઈ શકતા ન હતા, પરિણામે પરિવારના સાત સભ્યોની જવાબદારી પ્રવીણભાઈ પર હતી. તેઓ મજુરી કરી માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

જ્યારે બે દિકરીના ભવિષ્યમાં લગ્ન કરવાની ચિંતાને લઈ પત્ની અજાયબેને ઘરે બેસી સાડીના ફોલ છેડા કરી, તોરણ બનાવી ૨૦-૨૦ રૂ. બચાવીને રકમ પોસ્ટમાં જમા કરતી હતી.

(3:17 pm IST)