Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ભાવનગરમાં સાંજે ભાજપનું સ્નેહ મિલન

ભાવનગર તા. ૧૪ :.. ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા રાજયની તમામ લોકસભા સીટો પર બુથસ્તરના કાર્યકર્તાઓની ઉપસ્થિતીમાં નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમો યોજવાના આયોજનના પગલે ભાવનગર મહાનગરની લોકસભા સીટનું સ્નેહમીલન આજે સાંજે ૬ કલાકે સેતુ પાર્ટી પ્લોટ, ઇસ્કોન પાસે, ડો. ઉપેન્દ્રભાઇ દવે સર્કલથી જવેલ્સ સર્કલ રોડ પર યોજાશે.

જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રીશ્રી અને સૌરાષ્ટ્ર ઝોન વિભાગના પ્રદેશ મહામંત્રી મનસુખભાઇ માંડવીયા, ભાવનગર શહેરના પ્રભારી મંત્રી અને રાજયના શીક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, સંગઠન પ્રભારી મહેશભાઇ કસવાલા, સાંસદ ભારતીબેન શીયાળ, મેયર મનહરભાઇ મોરી, શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, લોકસભાના સીટના ઇન્ચાર્જ હર્ષદભાઇ દવે, સહ ઇન્ચાર્જ હરૂભાઇ ગોંડલીયા, મહામંત્રી વનરાજસિંહ ગોહીલ, મહેશભાઇ રાવલ, રાજૂભાઇ બાંભણીયા વગેરેની ઉપસ્થિતીમાં યોજાશે.

જેમાં ભાવનગર મહાનગરના બુથ પ્રમુખોથી લઇ શકતી કેન્દ્રોના ઇન્ચાર્જો સહિત પ૦૦૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ સ્નેહમીલન કાર્યક્રમમાં ભાવનગર શહેરને વિવિધ સ્તરે નામના અપાવી ગૌરવ પ્રદાન કરનાર વિશીષ્ઠ વ્યકતીઓને સન્માનીત કરવામાં આવશે.

આ સ્નેહમીલન કાર્યક્રમમાં પધારવા તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, વિવિધ સમાજ - જ્ઞાતિના આગેવાનો, વિવિધ સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ, નગરના શ્રેષ્ઠીઓ સહિતનાને પધારવા ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર તરફથી જાહેર નિમંત્રણ પાઠવાયું છે સ્નેહમીલન પુર્ણ થયે સ્વરૂચી ભોજન તમામ કાર્યકર્તાઓ સાથે લેશે તેમ પ્રવકતાશ્રી આશુતોષ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

(12:15 pm IST)