Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ધોરાજીમાં વિદ્યાર્થીનીએ મોત પહેલા શા માટે પિતા પર આક્રોશ ઠાલવ્‍યો?: પોલીસે શરૂ કર્યો તપાસનો ધમકમાટ

રોયલ સાયન્‍સ સ્‍કુલની વિદ્યાર્થીનીએ આઇ હેટ યુ પાપા...લખીને જિંદગી ટૂંકાવી લીધી : મુળ પોરબંદરના કુતિયાણાની છાત્રા હોસ્‍ટેલમાં રહી ભણતી હતીઃ ઘટનાને પગલે પરિવાર-સ્‍કૂલમાં શોકની કાલીમા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૩: ધોરાજી જેતપુર ઉપલેટા નેશનલ હાઇવે પર આવેલી રોયલ સાયન્‍સ સ્‍કૂલમાં ધોરણ ૧૧ સાયન્‍સમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્‍ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આઇ હેટ યુ પાપા...એ સહિતના અતિ કરૂણ શબ્‍દો સાથેની સ્‍યુસાઇડ નોટ લખીને છાત્રાએ આ પગલુ ભરી લીધુ હતું. શા માટે તેણે મોત પહેલા પિતા પર આક્રોશ ઠાલવ્‍યો? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધોરાજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂધ્‍ધસિંહ ગોહિલ એ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીના જેતપુર ઉપલેટા નેશનલ હાઈવે ઉપર આવેલ રોયલ સાયન્‍સ સ્‍કૂલમાં ધોરણ ૧૧સાયન્‍સમાં અભ્‍યાસ કરતી અને ત્‍યાંની હોસ્‍ટેલમાં જ રૂમ નં. ૩૧૮માં રહેતી મુળ પોરબંદરના કુતિયાણાની છાત્રા રહેતી દિવ્‍યા રમેશભાઈ ડોડીયાએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હોસ્‍ટેલના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસે પહોંચી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટ ખસેડયો હતો.

પોલીસે તપાસ કરતાં છાત્રા દિવ્‍યાએ લખેલી સ્‍યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પિતાએ કયારેય પોતાને દિકરી ગણી જ ન હોવાનો ઉલ્લેખ હતો તેમજ પિતા ફક્‍ત ગુસ્‍સો કરતા હોઈ મરવા સિવાય કોઈ વિકલ્‍પ નથી તેવો પણ ચોંકાવનારોં ઉલ્લેખ કર્યો હતો. પીઆઇ ગોહિલની રાહબરીમાં હેડકોન્‍સ. વાણવીએ સ્‍યુસાઇડ નોટ કબ્‍જે કરી તપાસ આગળ ધપાવી હતી. 

ઘટનાની જાણ થતાં કુતિયાણાથી છાત્રાના પરિવારજનો દોડી આવ્‍યા હતાં. તે સાથે હોસ્‍પિટલ ખાતે અતિ કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતાં. છાત્રા દિવ્‍યા શા માટે મૃત્‍યુ પહેલા પોતાના પિતા વિરૂધ્‍ધ આક્રોશ ઠાલવતી ગઇ? તેના મોતનું સાચુ કારણ શું છે? તે સહિતના મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

 

(1:36 pm IST)