Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગુજરાત રાજ્‍યમાં ડિમોલેશન અને પેશ કદમીનો કોરડો ફક્‍ત અને ફક્‍ત લઘુમતી સમાજ ઉપર જ શા માટે વીંઝાય છે..??

રાગ દ્વેષ અને કિન્નાખોરીપૂર્વક કરાતી કાર્યવાહીને અટકાવવા કરાઈ માંગ : અલ્‍પસંખ્‍યક અધિકાર મંચના ઇરફાન શાહે કરી મુખ્‍યમંત્રીને ધારદાર રજૂઆત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૩ : જુનાગઢ જિલ્લાના જાણીતા મુસ્‍લિમ અગ્રણી અને અલ્‍પસંખ્‍યક અધિકાર મંચના સૌરાષ્‍ટ્રના પ્રભારી ઈરફાન શાહ સોહરવર્દી એ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલને ધારદાર રજૂઆત કરી આક્રોશ પૂર્ણ જણાવ્‍યું હતું કે રાજ્‍યમાં તાજેતરમાં ખાસ કરીને સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના દરિયાઈ પટ્ટી ઉપર ડિમોલેશન અને પેસ કદમી નો કોરડો ફક્‍ત અને ફક્‍ત લઘુમતી સં-દાયના લોકો ઉપર વિંજાઈ રહ્યો છે જેને તાત્‍કાલિક અંકુશમા લેવા માંગ કરવામાં આવી હતી

 અત્રે ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા બાદ નાવદ્રા અને હર્ષદ બંદર વિસ્‍તારમાં દરિયાઈ ખેડૂતો કે જેઓ વર્ષોથી જે વિસ્‍તારમાં તંબુ તાણીને રહેતા હોય એવી ઝૂંપડપટ્ટીઓને પણ પેશ કદમીમાં સમાવી ડીમોલેશન કરી હજારો માછીમારોને ઘરવિહોણા કરી દેતા આ વહીવટી તંત્રને શરમ આવી નથી, રાગ દ્રેસપૂર્વક અને માત્ર ને માત્ર કીનાખોરી રાખી માનવતા મરી પરવારી હોય એમ લઘુમતી સમુદાયના લોકોને અન્‍યાય કરતી પ્રવળત્તિઓ ઉપર તાત્‍કાલિક અંકુશ લઇ આવવા માંગણી કરી છે

 વિશેષમાં  સોહરવર્દી એ જણાવ્‍યું છે કે ગુજરાત રાજ્‍યમાં લોકો અનેક સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે ત્‍યારે જેમ કે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની છાશવારે  પેપર ફૂટી જતા હોય તેમાં સંડોવાયેલા લોકો સામે આક્રમક કાર્યવાહી થતી નથી, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે હજારો ખેડૂતોની દિવસ રાતની કાળી મજૂરી ધૂળધાણી થઈ જતી હોય તેવા સંજોગોમાં જગતના તાતને સરકાર દ્વારા કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવતી નથી, જગદંબા સ્‍વરૂપ કુમળી કળી જેવી માસુમ દીકરીઓ કોઈના દુષ્‍કર્મનો ભોગ બની  પિંખાઈ જતી હોય તેવા સંજોગોમાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, દારુણ ગરીબીમાં જીવતા કોઈ પરિવારની મદદ કરવા સામાજિક સંસ્‍થાઓ પહોંચી જતી હોય છે પરંતુ રાજ્‍ય સરકાર હાથ ખંખેરી લે છે એવા સમયે વહીવટી તંત્ર નિષ્‍ક્રિય થઈ જતું હોય છે, આવી તો અનેક સમસ્‍યાઓ માં રાજ્‍યની પ્રજા પીસાઈ રહી છે પરંતુ હાલ માત્ર ને માત્ર લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા તેમની ઉપર અત્‍યાચાર અને અન્‍યાય કરવાના માત્ર અને માત્ર ઈરાદે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે આવા અતિરેકને તાત્‍કાલિક અંકુશમાં લઈ આવવા લઘુમતી સમુદાય વતી   ઇરફાનશાહ સોહરવર્દીએ મુખ્‍યમંત્રીને સંવેદના પૂર્વક રજૂઆત કરી છે.

(1:27 pm IST)