Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ખંભાળીયા નજીક મહાદેવના મંદિરમાં ખાતર પાડતા તસ્‍કરો : રૂા.૯૩ હજારના દાગીનાની ચોરી

જામખંભાળીયા,તા.૧૩ : સોડસલા ગામે રહેતા અને મંદિરમાં સેવાપૂજા કરતા સોમગીરી કલ્‍યાણગીરી ગોસ્‍વામી (ઉ.વ. ૫૮) એ સલાયા મરીન પોલીસ મથકમાં અજાણ્‍યા તસ્‍કરો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત તારીખ ૨૮મીના રોજ રાત્રિના આઠ વાગ્‍યાના સમયે તેઓ સોડસલા ગામના નાગનાથ મહાદેવના મંદિરમાં પૂજા-આરતી કરી અને બાદમાં લોક મારીને બાજુમાં રહેલા તેમના રહેણાંક મકાને ચાલ્‍યા ગયા હતા. જે ફરી તારીખ ૧ માર્ચના રોજ સવારે સાત વાગ્‍યે મંદિરમાં પહોંચતા મંદિરની બહારનો દરવાજો ખુલ્લો હતો. જે ખોલીને અંદર  પ્રવેશતા પ્રથમ દરવાજાનું લોક તેમજ નીજ મંદિરનું તાળું પણ તૂટેલું હોવાનું તેમના ધ્‍યાન આવ્‍યું હતું.

 આ મંદિરમાં જઈને જોતા શિવલિંગ પર રહેલો ચાંદીનો નાગ તેમજ પાર્વતીજી તથા ગંગાજીની મૂર્તિ પણ ચડાવવામાં આવેલા મુગટ આ સ્‍થળેથી ગુમ થઈ ગયા હતા. આ ચોરી પ્રકરણમાં રૂપિયા ૭૪,૦૦૦ ની કિંમતનો બે કિલોગ્રામ વજનનો ચાંદીનો નાગ તથા રૂપિયા ૧૮,૫૦૦ ની કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીના મુગટ મળી કુલ રૂ. ૯૨,૫૦૦ નો મુદ્દામાલ ચોરી થયાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયાના ઈન્‍ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ડોગ સ્‍કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્‍ણાંતોની સેવાઓ લેવાની તજવીજ પણ કરવામાં આવી હતી.

(1:25 pm IST)