Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જામનગરથી ૧૫૧ નવીન બસો લોકાર્પિત

ટૂંક સમયમાં જામનગરને નવું આધુનિક બસ સ્‍ટેશન મળવા અંગેની જાહેરાત કરતા ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવી : ૧૬ જિલ્લા માટે રૂા. ૧૨ કરોડના ખર્ચે ૩૦ સ્‍લીપર કોચ, રૂા. ૨૪ કરોડના ખર્ચે ૭૦ લક્‍ઝરી બસ તથા રૂા. ૧૩.૮૪ કરોડના ખર્ચે ૫૧ મીની બસ

જામનગરમાં એસ. ટી.નિગમની ૧૫૧ નવી બસોનું રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી,સ્‍ટે.ચેરમેન મનીષ કટારીયા, ડે.મેયર તપન પરમાર, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ રમેશભાઈ મુંગરા,શહેર ભાજપ અધ્‍યક્ષ ડો.વિમલ કગથરા સહિતના મહાનુભાવોએ લોકાર્પણ કર્યું હતું.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩: શહેરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતેથી રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ વાહન વ્‍યવહાર નિગમની ૧૫૧ બસો લોકાર્પિત કરી હતી જેમાં રૂ.૧૨ કરોડના ખર્ચે ૩૦ સ્‍લીપર કોચ, રૂ.૨૪ કરોડના ખર્ચે ૭૦ લક્‍ઝરી બસ તથા રૂ.૧૩.૮૪ કરોડના ખર્ચે ૫૧ મીડી બસનો સમાવેશ થાય છે.કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજયમંત્રી તથા અન્‍ય મહાનુભવોએ પૂજન વિધિ બાદ નવીન બસોનું નિદર્શન કર્યું હતું તેમજ ડ્રાઇવરોને પ્રતિકાત્‍મક ચાવી એનાયત કરી બસોનું લોકાર્પણ કર્યું હતું.

ગૃહ રાજયમંત્રીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે જામનગરના આંગણેથી ૧૫૧ નવીન બસોનું લોકાર્પણ થવાથી જામનગર સહિત સમગ્ર રાજયના નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. જયારે આગામી ટૂંક સમયમાં જ જામનગર માટે નવું આધુનિક બસ સ્‍ટેશન પણ રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવનાર છે તેમજ જામનગરથી નાથજી સુધીની સ્‍લીપર કોચ સુવિધા પણ શરૂ કરવામાં આવનાર છે આ તમામ બસો અતિ આધુનિક ટેકનોલોજીથી યુક્‍ત છે જેમાં CMVR નોમ્‍સ મુજબ ઇમરજન્‍સી વ્‍યવસ્‍થા, વિહીકલ ટ્રેકિંગ સિસ્‍ટમ, ફાયર એક્‍શટીગ્‍યુશર, ઇમરજન્‍સી માટે VLT ડિવાઇસ તથા પેનિક બટન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકાર્પિત કરાયેલ આ બસોમાં રાજયના ૧૬ જિલ્લાઓને ૭૦ લકઝરી બસ, ૩૦ સ્‍લીપર બસ તેમજ ૫૧ મીડી બસ ફાળવવામાં આવનાર છે જેમાં અમદાવાદ વિભાગને ૯, અમરેલીને ૬, ભુજને ૫, વલસાડને ૭, ભરૂચને ૫, બરોડાને ૮, ભાવનગરને ૫, ગોધરાને ૧૦, હિંમતનગરને ૧૧, જામનગરને ૯, જૂનાગઢને ૧૬, મેહસાણાને ૧૫, નડિયાદને ૯, પાલનપુરને ૧૧, રાજકોટને ૧૯ તેમજ સુરત વિભાગને ૬ એમ કુલ મળીને ૧૫૧ બસોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, મતી રીવાબા જાડેજા તથા દિવ્‍યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્‍યુટી મેયર તપનભાઈ પરમાર, રાજકોટ રેન્‍જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્‍ટર ડો.સૌરભ પારધી, મ્‍યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, નિગમના મુખ્‍ય યાંત્રિક ઈજનેર એન.બી.સીસોદીયા, સચિવ રવિ નિર્મલ, અમદાવાદ વર્કસ મેનેજર પી.એમ.પટેલ, જામનગર વિભાગીય નિયામક બી.સી.જાડેજા સહિતના મહાનુભવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:11 pm IST)