Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હળવદના ચરાડવામાં ટ્રાવેલ્‍સ ઉપર પથ્‍થરમારો કરનારા આરોપીઓને ઝડપી લેવા કવાયત : માલધારી સમાજ આવેદન પાઠવશે

અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો

(દિપક જાની દ્વારા)હળવદ,તા. ૧૩: હળવદ તાલુકાના ચરાડવા ગામે શનિવારે રાત્રીના લુખ્‍ખા તત્‍વો દ્વારા ટ્રાવેલ્‍સ ઉપર પથ્‍થરમારો કરી હુમલો કરવાના બનાવ બાદ હળવદ પોલીસે આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની સાથે સાથે પોલીસે ચરાડવામા આરોપીઓના ઘરોમાં કોમ્‍બિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત ચરાડવા ગામે ચાંપતો પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવવામાં આવ્‍યો છે.

શનિવારે રાત્રીના ચરાડવા ગામે ચા પાણી પીવા માટે ઉભી રહેલી ટ્રાવેલ્‍સ બસનો પીછો કરી હુમલો કર્યાના બનાવ બાદ હળવદ પોલીસ દોડતી થઈ છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્‍યા બાદ કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે ચરાડવા ગામે ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવી દેવામાં આવ્‍યો છે.ઉપરાંત હળવદ પીઆઈ એમ.વી.પટેલ સહિતના પોલીસ સ્‍ટાફ દ્વારા આરોપીઓના રહેણાંક મકાનમાં કોમ્‍બિંગ પણ હાથ ધરવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, હીંચકારા હુમલાની આ ઘટનાના વિરોધમાં સોમવારે માલધારી સમાજ હળવદ મામલતદાર કચેરી તેમજ હળવદ પોલીસ મથકે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ બનાવમાં જેટલા પણ આરોપી સંડોવાયેલા છે તે તમામ વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપનાર હોવાનું જાણવા મળ્‍યું છે.

(12:11 pm IST)