Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માંડલના સોનીએ વઢવાણના સ્‍મશાનમાં જીવન ટૂંકાવ્‍યું

વઢવાણ,તા. ૧૩: સુરેન્‍દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લાશો મળવાના કિસ્‍સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કારણ કે હજુ શુક્રવારે રાજપર કેનાલમાંથી એક જ પરિવારની ૩ લાશો મળ્‍યાની શાહિ સૂકાઇ નથી. ત્‍યાં રવિવારે સવારે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના સ્‍મશાનમાં અજાણ્‍યા પુરૂષની લાશ પડી હોવાની જાણ થતા વઢવાણ પોલીસ મથકના એએસઆઈ અશ્વિનકુમાર વી. દવે સહિતની ટીમ દોડી ગઇ હતી. ઘટના સ્‍થળે તપાસ કરતા મૃતકનું આધારકાર્ડ અને મોબાઇલ મળી આવ્‍યો હતો.

મૃતક અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ પાશ્વનાથ સોસાયટી -૯૯૯માં રહેતા ૬૨ વર્ષના દિનેશકુમાર રસીકલાલ સોની હોવાનું બહાર આવ્‍યુ હતુ. મૃતકની પાસેથી દવાઓ પણ મળી આવી હતી. મૃતકની લાશને વઢવાણ સરકારી હોસ્‍પિટલે પીએમ માટે લઇ જવામાં આવી હતી.

પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા વઢવાણ દોડી આવ્‍યો હતો. અને સમગ્ર ઘટના અંગે મૃતકના પુત્ર ૩૬ વર્ષના સૌરભ દિનેશકુમાર સોનીએ પોલીસને જાણ કરતા જણાવ્‍યું કે, દિનેશકુમાર માનસીક અસ્‍વસ્‍થ હોય પોતાની જાતે ઝેરી દવા પી જતા મોત થયુ હતુ. પોલીસે અકસ્‍માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એ.વી.દવે ચલાવી રહ્યા છે.

(10:43 am IST)