Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમરેલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવમાં હાજરી આપતા કૃષિમંત્રી પટેલ

અમરેલી તા. ૧૧ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી  રાઘવજીભાઈ પટેલએ આજે અમરેલી લોહાણા મહાજન વાડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વિષ્ણુયાગ યજ્ઞ મહોત્સવમાં હાજરી આપી હતી.

કૃષિમંત્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે સંત શિરોમણી પૂજ્ય  જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવું છું. પૂજ્ય જલારામ બાપાએ ભૂખ્યાને અન્ન આપવાના ભગીરથ કાર્ય કરી દુનિયાભરમાં નામ રોશન કર્યું છે. આ ભૂખ્યાને જમાડવાના સેવાકાર્યોને વધુમાં વધુ આગળ વધારીએ એ જ પૂજ્ય જલારામ બાપાને સાચી શ્રદ્ધાંજલિ છે.

આ અવસરે કૃષિમંત્રી તેમજ અન્ય મહાનુભાવોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન સાંસદ  નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી  બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ  કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ભાજપ પ્રમુખ ડો. કાનાબાર, અગ્રણી  જીતુભાઈ ડેર, જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલીયા અને ભકતજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:24 pm IST)