Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ખેડૂતો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે માટે રાજય સરકાર કટિબદ્ધઃ વિજયભાઇ

ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટી હિરણ ડેમ ''સૌની'' યોજનાથી ભરાશે... : ખેડૂતોની મહેનત એળે ન જાય, પુરતા ભાવ મળે તે માટે ફાર્મ ટુ ફોરેન પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાશે : ગીર સોમનાથ જિલ્લાનાં પ્રાંસલીમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન ખેતીવાડી ઉત્પન્નબજાર સમિતિ-સુત્રાપાડા નગરપાલિકાની ચોપાટી-શાકમાર્કેટનું લોકાર્પણ

વેરાવળ-પ્રભાસપાટણ તા.૧૨: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ સુત્રાપાડા  તાલુકાના પ્રાંસલી ગામે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક માર્કેટીંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે કહયું કે, નૂતન વર્ષમાં ખેડૂતો માટે સરકારે નવી સુવિધા માર્કેટ યાર્ડના સ્વરૂપે જનતાને ૧૪ મહિનાના ટૂંકા ગાળામાં અર્પણ કરી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઝડપથી વિકાસના કામો થઇ રહ્યા છે, સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા તેનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતો માટે નર્મદના પાણી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ ઝડપથી આપવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. સૌરાષ્ટ્રમાં પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ નર્મદા ડેમના પાણીથી ભરવાની પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ થઇ જશે. ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લઇ સમૃદ્ધ બને તે દિશામાં સરકાર કામ કરી રહી છે અને ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો હિરણ ડેમ સૌની યોજનાથી ભરાશે.

આ સરકાર ખેડૂતો ગરીબો વંચિતોની સરકાર છે, ખેડૂતોને પૂરતા ભાવ મળે યુવાનોને રોજગારી મળી રહે, પાકના પૂરતા ભાવ મળે તે દિશામાં સરકાર મહત્વના કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ખેડૂતોને મૂલ્યવર્ધન સાથે પુરતા ભાવ મળે આપણા ખેડૂતોનો માલ વિદેશમાં નિકાસ થાય તે માટે સરકાર કામ કરી રહી છે. ફાર્મ ટુ ફોરેનની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. સરકાર મગફળીના ટેકાના ભાવો થી ખરીદી કરવા જઇ રહી છે સહકારી મંડળી દ્વારા નહીં પણ યાર્ડ દ્વારા મગફળીની ખરીદી થશે ખેડૂતોને પૂરતા નાણાં મળી રહે અને પછી હરાજીમાં માલ જશે રાજય સરકાર દ્વારા પારદર્શક રીતે ઓનલાઇન નોંધણી કરી વહેલા તે પહેલાના ધોરણે ખરીદી થશે.

મગફળી ટેકાના ભાવે ખરીદવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર ડામી સંપૂર્ણ પારદર્શીતા અપનાવી અન્ય લોકોથી ખેડૂતોને નુકસાન થતું અટકાવી સરકારે મગફળી ખરીદી કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા ભ્રષ્ટાચાર ડામવાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, આ સરકારે ભુતકાળમાં ઘઉંના ટેકાના ભાવ ૧૩૦૦ હતા તે વધારી રૂ. ૧૮૪૦ કર્યાં, ચણાનાં રૂ. ૩૧૦૦ હતા તે વધારી રૂ. ૪૬૨૦ કર્યા અને મગફળીના ટેકાના ભાવ રૂ. ૩૮૦૦ હતા તે વધારીને ૪૮૯૦ કર્યા છે. આ સરકાર ખેડૂતોની છે, ગામડાની છે, ગામડા સમૃદ્ધ થશે તો શહેરો સમૃદ્ધ થશે અને ખેડૂતોને નુકસાન કરતા કોઇ તત્વોને ચલાવી લેવાશે નહી તેમ શ્રી વિજયભાઇએ ઉમેર્યું હતું.

સૌરાષ્ટ્રના સાગરકાંઠાના શહેરોમાં દરિયાના ખારા પાણીને મીઠુ પાણી કરવા પ્લાન્ટ નાખી પાણીની સમસ્યા દુર કરવાના પ્રયાસો પણ સરકાર દ્વારા થનાર છે. તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, વેરાવળ સોમનાથનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી અને અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, નવુ વર્ષ આપણા માટે ફળદાયી નીવડે તેવી શુભકામના પાઠવી માર્કેટ યાર્ડ સહકારી મંડળી ડેરીઓ દ્વારા ખેડુતો અને પશુપાલકોના ઉત્થાનનૂં કામ થાય છે. સરકાર દ્વારા અનેક લાભકારી યોજનાઓ છે જેનું ઉત્તમ ઉદાહરણ આ આધુનિક માર્કેટ યાર્ડ છે. ખેડુતોના મુદ્દા ઉપર કદી રાજકારણ ન થવું જોઇએ આપણું ગુજરાત શાંતિપૂર્ણ ગુજરાત છે મખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય થયા છ.ે ખેડુતોને ઝીરો ટકા  વ્યાજે લોન સૌની યોજનાનું પાણી મગફળીની ટેકાના ભાવે ખરીદી સહિતના અનેક નિર્ણયો ખેડુતોના હિતો માટે સરકારે કર્યા છે મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં કોઇ કચાશ ન રહે તે માટે અમારો વિભાગ કાર્ય કરી રહ્યો છે. તેમ પણ મંત્રીએ કહ્યું હતું.

સાંસદ રાજેશભાઇ ચુડાસમાં એ કહ્યું કે સુત્રાપાડા તાલુકાને ખુબ જ ટૂંકા ગાળામાં માત્ર ૧૪ મહિનામાં અદ્યતન માર્કેટીંગ યાર્ડ પ્રાપ્ત થયું છે ખેડુત અને સાગરપુત્રો માટે અનેક સુવિધાઓ રાજય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

પૂર્વ મંત્રી અને યાર્ડના સ્થાપક જશાભાઇ બારડે સૌનું સ્વાગત કરી રહ્યું કે, આ માર્કેટયાર્ડ રાજય અને કેન્દ્ર સરકારની આઠ કરોડ ૬ર લાખની સહાય સાથે ૧પ કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે જેનાથી ૪૮ ગામના ખેડુતોને તેમની ખેત પેદાશોના વેચાણ માટે સુવિધાઓ મળશે.

આ પ્રસંગે સાંસદ ચુનીભાઇ ગોહેલ, પ્રવાસન નિગમના ડીરેકટર ઝવેરીભાઇ ઠકરાર પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી, રાજય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ સોલંકી, લખમણભાઇ પરમાર, કાળાભાઇ ઝાલા, કે.સી.રાઠોડ, જિલ્લા કલેકટર અજયપ્રકાશ સહિત સહકારી સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ માર્કેટીંગયાર્ડના ચેરમેન દિલીપસિંહ બારડે અને સંચાલન મહેશભાઇ જોષીએ કર્યુહતું.

(12:11 pm IST)