Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્‍સ વિભાગનું અનોખુ સંશોધનઃ સરગવાની શીંગમાં અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા

સંશોધનના અંતે તારણઃ આર.ઓ. પ્‍લાન્‍ટની કેન્‍ડલમાં શીંગનો ઉપયોગ કરવાથી પાણી શુદ્ધ થશે

જુનાગઢઃ જુનાગઢની ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્‍સ વિભાગે શોધી કાઢયુ કે, સરગવાની શીંગમાંથી અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાની તાકાત છે. શીંગની મદદથી ગંદા પાણીની ટર્બિનિટી ઓછી થઇ ગઇ સાથે પાણીમાં રહેલા બેક્‍ટેરીયા અને વાયરસ નાશ પામ્‍યા છે.

સરગવાની શીંગ પોષક તત્વોનો ખજાનો ગણાય છે. સરગવાની શિંગ નિયમિત ખાવી જોઈએ તેવુ તબીબો સલાહ આપે છે. ત્યારે સગરવાની શીંગનો વધુ એક ગુણ સામે આવ્યો છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગે શોધી કાઢ્યું કે, સરગવાની શીંગમાં અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાની તાકાત છે. યુનિવર્સિટી દ્વારા કરાયેલુ આ સંશોધન અનોખું છે.

સરગવાની સીંગથી પાણીમા બેક્ટેરીયા અને વાયરસ મરી ગયા
જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના વડા ડો. સુહાસ વ્યાસ, ડો. દુષ્યંત દુધાગરા અને વૈશાલી વરસાણી દ્વારા એક રિસર્ચ હાથ ધરાયુ હતું. આ સંશોધન ગંદા પાણીને શુદ્ધ કરવા માટે કરવા પર હતું. જેમાં વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રયોગ કર્યા બાદ સામે આવ્યું કે, સરગવાની શીંગમાં અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાની તાકાત છે. સરગવાની શીંગની મદદથી ગંદા પાણીની ટર્બિનિટી ઓછી થઈ ગઈ. સાથે જ પાણીમાં રહેલા બેક્ટેરીયા અને વાયરસ પણ મરી ગયાં.

30 મિનિટમાં ગંદુ પાણી શુદ્ધ થઈ ગયું 
સંશોધન કરનારી ટીમ ખાસ રીતથી સંશોધન કર્યું. સરગવાની શિંગમાંથી બીજને અલગ કર્યા બાદ એના ગર્ભને સૂકવી નાખી એનો પાઉડર બનાવ્યો. ત્યાર બાદ એમાં એસિડિક દ્રાવણ મેળવી ફરીથી સૂકવી આ પાઉડરને અશુદ્ધ પાણીમાં મિક્સ કર્યો. જેના બાદ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાયુ હતું. એક લિટર અશુદ્ધ પાણીમાં માત્ર 1 ગ્રામ પાઉડર ઉમેરવામા આવ્યો હતો. આ બાદ સાબિત થયું કે, માત્ર 30 મિનિટમાં પાણીમાંથી અશુદ્ધિઓ ગાયબ થઈ ગઈ હતી. 

RO પ્લાન્ટમાં ઉપયોગી થઈ શકશે સરગવો
આ સંશોધનની ખાસ વાત એ છે કે, સંશઓધન જંગલી સરગવા પર કરવામાં આવ્યુ હતું. જેના બાદ આ પરિણામ મળ્યું. સંશોધનથી સાબિત થયું કે, જંગલી સરગવાની સિંગમાં ગટરના પાણીને પણ શુદ્ધ કરવાની તાકાત છે. આ રીતે પાણી શુદ્ધ કરીને તેનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે કે અન્ય કેટલીક જગ્યાઓ પર કરી શકાય છે. સાથે જ આર.ઓ. પ્લાન્ટની કેન્ડલમાં સરગવાની શિંગનો ઉપયોગ કરાય તો પણ પાણી શુદ્ધ થઈ શકે છે. 

(5:28 pm IST)