Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જૂનાગઢમાં અકસ્માત બાદ રાજકોટના સાળા-બનેવીને ૩ અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યોઃ છરી ઝીંકી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૧ :. જૂનાગઢમાં આવેલ જીઆઈડીસી પાસે આજે બપોરે સ્વીફટ કાર અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ૩ અજાણ્યા શખ્સોેએ સાળા-બનેવીને ઢીકાપાટુ અને છરી ઝીંકી દેતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના કોઠારીયા ચોકડી પાસે રહેતા પ્રકાશભાઈ નાનજીભાઈ મોલીયા (ઉ.વ. ૪૨) અને તેના સાળા મહેશ રવજીભાઈ પાનસુરીયા સ્વીફટ કારમાં જીઆઈડીસી પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની સ્વીફટ કાર અને ઈકો કાર નં. જીજે ૧૦ પીઆર ૮૩૪૬ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત બાદ ઈકો કારમાંથી ૩ થી ૪ અજાણ્યા શખ્સોેએ પ્રકાશભાઈ નાનજીભાઈ મોલીયાને છરી ઝીંકી દીધી હતી જેથી તેમને સારવાર માટે જૂનાગઢની સીવીલ હોસ્પીટલે ખસેડેલ છે. જ્યારે તેમના સાળા મહેશ રવજીભાઈ પાનસુરીયાને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ હુમલા બાદ ઈકો કારમાં આવેલા અજાણ્યા શખ્સો નાસી છૂટતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

(4:05 pm IST)