Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

જામનગર સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો : લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા બાદ તે પરત્વે સ્થળ પર જ જરૂરી કાર્યવાહી

જામનગરઃ  કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ મંત્રીશ્રીએ લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રીશ્રી રાદ્યવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર) 

(11:59 am IST)