Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

આટકોટ પાસે આઇશર હડફેટે રોડ ક્રોસ કરતા શાપર-વેરાવળના અમરાભાઇ રાઠોડનું મોત

પાળીયાદ જતા'તાને રસ્‍તામાં ચા પીવા ઉભા રહ્યા'ને મોત મળ્‍યુ

રાજકોટ તા. ૧૧ :.. આટકોટ નજીક આઇશર હડફેટે રોડ ક્રોસ કરતા શાપર-વેરાવળના પ્રૌઢનું મોત નીપજયું હતું.

મળતી વિગતો મુજબ શાપર- વેરાવળમાં રહેતા અમરાભાઇ દેવાભાઇ રાઠોડ (ઉ.પ૮) ત્રિભોવનભાઇ ભગવાનભાઇ રાઠોડ રે. શાપર વેરાવળ શીતળા માતાજીના મંદિર પાસે તથા અન્‍ય એક વ્‍યકિત સહિત ત્રણેય આટકોટ પાસે બસ સ્‍ટેન્‍ડથી થોડે આગળ જસદણ તરફ રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ક્રોસ કરીને જતા હતા ત્‍યારે આઇસર નં. જી. જે. ૦૩, એકસ ૪૩૮૩ ના ચાલકે અમરાભાઇ દેવાભાઇ રાઠોડને હડફેટે લેતા તેને માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજયુ હતું.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ મૃતક અમરાભાઇ શાપર-વેરાવળમાં મજૂરી કામ કરે છે. ગઇકાલે મિત્રો સાથે પાળીયાદ જતા હતા અને રસ્‍તામાં આટકોટ પાસે ચા પીવા ઉભા રહેતા રોડ ક્રોસ કરતા આઇસર હડફેટે મોત નિપજયુ હતું.

બનાવ અંગે ત્રિભોવનભાઇ રાઠોડની ફરીયાદ ઉપરથી આટકોટ પોલીસે આઇસર ચાલાક સામે ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ કે. પી. મેતા ચલાવી રહ્યા છે.

(12:03 pm IST)