Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સાસરિયાઓના ત્રાસથી ધતુરીયા ગામની આઘેડ મહિલાનો આપઘાત

જામખંભાળીયા તા. ૧૦ :.. કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા હીરીબેન નાથાભાઇ ડુવા નામના પ૦ વર્ષના આહીર મહિલાએ ગત તા. ૭ ના રોજ પોતાના ઘરે પોતાના રૂમમાં સીલીંગ ફેનમાં ચુંદડી વડે ગળાફાસો ખાઇ લઇએ અને જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ હીરીબેનને મંદિરે દર્શન જવાની ના કહેતા તેણીએ આ પગલું ભર્યુ હોવાની જાણ કલ્યાણપુર પોલીસ મથકમાં જે તે સમયે કરવામાં આવી હતી.

આ પ્રકરણ સંદર્ભે મૃતક મહિલાના મોટાભાઇ ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા જેતાભાઇ અરજણભાઇ કાંબરીયા (ઉ.વ.૭પ) એ પોતાના બહેનના પતિ નાથાભાઇ પાલાભાઇ ડુવા, અરવિંદભાઇ નાથાભાઇ ડુવા, પ્રવિણભાઇ નાથાભાઇ ડુવા તથા રાજીબેન અરવિંદભાઇ ડુવા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરીયાદીના બનેવી નથાભાઇને પોતાના પત્ની હીરીબેન પસંદ ના હોય, તેઓ  ઘરમાં નાની-નાની વાતે અવારનવાર ઝઘડો કરતા હતાં. અને હીરીબેનને કોઇ માન-પાન આપતા ન હતાં. આ ઉપરાંત તેના અન્ય સાસરીયાઓ પણ વિવિધ રીતે ત્રાસ ગુજારી, હીરીબેનને હેરાન-પરેશાન કરતા હતાં. સાસરીયાઓના શારીરિક તથા માનસિક ત્રાસથી તેણી આખરે મરી જવા મજબુર બનતા તેણીએ કંટાળીને તા. ૭ ના રોજ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઇ. પી. સી. કલમ ૩૦૬, ૩ર૩, ૪૯૮ (એ) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એફ. બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે

(1:04 pm IST)