Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાવનગરમાં અષાઢી બીજે સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાશેઃ મહોત્સવ સમિતી દ્વારા તૈયારી

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં 2જા નંબરની ભાવનગર ખાતે નીકળનારી અને સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજના જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આગામી 12 જુલાઈને સોમવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે.

કોરોનાની પહેલી લહેરમાં બંધ રહી રથયાત્રા

ગત વર્ષ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી કોરોનાકાળના કારણે ગુજરાતમાં એકપણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ પરંપરા નિભાવવા તમામ ધ્વજારોહણ, સ્નાન, નેત્ર અને ભોગ વિધિ જેવી ધાર્મિક વિધિઓ મંદિર પરિસરમાં જ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે પ્રતિકરૂપે ભગવાન જગન્નાથજીના રથને માત્ર સંતો મહંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતીમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિહજીના હસ્તે પહિંદ વિધિ બાદ ભોઈ સમાજના યુવકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો. તેમજ સાંજ સુધી લોકોના દર્શનાર્થે રથને મંદિર પરિસરમાં જ રાખવામાં આવ્યો હતો.

કોરોના હળવો પડતાં નીકળશે રથયાત્રા

ગુજરાતમાં હાલ કોરોના મહામારીની બીજી લહેર માં કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા મોટાભાગના ધંધા રોજગારને મુક્તિ આપવામાં આવી છે, બીજી બાજુ લોકો પ્રભુ દર્શન કરી શકે એ માટે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરો પણ ધીમે ધીમે ખુલી રહ્યા છે, ત્યારે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે એ માટે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી ગાઇડલાઇન મુજબ થશે આયોજન

ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને હજુ એક માસ કરતા વધુ સમય બાકી છે, ત્યારે સરકારની તમામ ગાઇડલાઈનના પાલન સાથે ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા જગન્નાથ રથયાત્રા નીકળે એ માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા દ્વારા રથયાત્રા નીકળે એ પૂર્વજ કોરોના મહામારી નું સમન થઈ જાય અને લોકો ને પ્રભુ દર્શન માટે મુક્તિ મળે એવા આશાવાદ સાથે રથયાત્રા ના આયોજન નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

(4:34 pm IST)