Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

પાકિસ્‍તાની જેલમાં વધુ અેક ભારતીય માછીમારનું મોત માછીમાર ઉનાના પાલડી ગામના રહીશ : પરીવારમાં શોક છવાયો

ઊના : ઊનાના પાલડી ગામમાં પાકિસ્તાનથી દુખદ સમાચાર આવ્યા છે. વધુ એક ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત નિપજ્યું છે. ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર ભીખાભાઇનું પાકિસ્તાનની લાડી જેલમાં મોત થતા તેમના પરિવારમાં માતમન છવાયો છે.

ઉના તાલુકામાં મુખ્ય રોજગારમાં કહી શકાય તો માછીમાર ઉદ્યોગ છે અને તાલુકાના કાંઠાળ વિસ્તારના લોકો માછીમારીના ઉદ્યોગ સાથે જોડાયેલા છે. પોરબંદર અને જખૌ બંદરે માછીમારી માટે બોટોમાં જોડાતા હોય છે અને માછીમારીની લ્હાયમાં ક્યારેક પાકિસ્તાનની સીમા નજીક જતા હોય છે. તે દરમિયાન નાપાક પાકિસ્તાન મરીન તેને બંદી બનાવીને લઈ જતા હોય છે. હાલ પાકિસ્તાની જેલમાં 500થી વધુ ગુજરાતના માછીમાર કેદ છે. જેમાં ફક્ત ઉના તાલુકાના જ 150 જેટલી કેદી છે. આ તમામ માછીમારોના પરિવાર બેહદ ગરીબ અવસ્થામાં છે. ત્યારે પાલડીના માછીમારનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

2017માં જખૌ બંદરેથી માછીમારીમાં નીકળેલ બોટનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું હતું. જેમાં ભીખાભાઈ સામેલ હતા. 2018માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને શરીર પેરેલાઈઝ થઈ ગયું હતું. તેમ છતાં પણ પાકિસ્તાને તેમને છોડ્યા ન હતા અને અંતે ગઈકાલે તેમના મોતના સમાચાર આવ્યા છે.

ભીખાભાઇનો મોટો પુત્ર બીજલ ગત 7 વર્ષથી દરિયામાંથી જ ગાયબ છે, ત્યારે હવે પરિવારમાં એક જ મોભી હતા તેમનું પણ મોત નિપજી ચૂક્યું છે. આ પહેલા પણ ઉના તાલુકાના કાજરડી ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયું હતું અને તેમનો મૃતદેહ 2 મહિના બાદ માદરે વતન આવ્યો હતો. ત્યારે ભીખાભાઈનો મૃતદેહ વહેલાસર પાકિસ્તાન મોકલે એવી પણ માંગ ઉઠી છે.

(12:29 pm IST)