News of Monday, 9th November 2020
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૯: નામપરિવર્તનનો પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે. શહેરના નામને સાંસ્કૃતિક પરિવર્તન સાથે જોડવામાં આવી રહ્યાં છે. એની ચર્ચા તો ચાલે જ છે. પણ ખરેખર સાંસ્કૃતિક,રાજકીય આક્રમણ કે અતિક્રમણની સામે કેમ થવાય?એનું ઉદાહરણ આજનો દિવસ છે. ૯મી નવેમ્બર જૂનાગઢનો સ્વતંત્રતા દિવસ. નવાબની ઈચ્છા હતી કે જવું પાકિસ્તાન. જીન્હાની ચાલ જૂનાગઢને પ્યાદુ બનાવી હૈદરાબાદ અને કાશ્મીર પણ હડપવાની હતી. પણ દેશને એક કરવાનું કામ તો કરી રહ્યા હતા દેશની કોંગ્રેસની સરકારના ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ.
જૂનાગઢમાં જનમત મેળવવાનું નક્કી થયું. સાથે જ આરઝી હુકુમતની રચના થઈ. માણાવદર,માંગરોળ પણ લેવાના હતા. જનમત લેવાયો અને નવાબના કેટલાક ગુંડાઓને આરઝી હુકુમતના સૈનિકોએ એમની ઔકાત પણ બતાવી.
કર્ણકુબજ, કરણકોજ, કરણકુવીર,મણિપુર,ચન્દ્રકેતુપુર, ગિરિનગર, જીર્ણગઢ, જૂનાગઢ........કેટલાં નામ આ શહેરના! પણ જૂનાગઢ કઈ ગામ કે નામ થોડું છે? જૂનાગઢ તો પોતે એક સંસ્કૃતિ છે. અહીં ભકિત પણ થઈ અને યુધ્ધો પણ થયાં છે. નરસિંહના કરતાલ,સિંહની ગર્જના બન્ને જૂનાગઢની ઓળખ છે. ફરી ફરીને કેટલાં નામ લખીએ?
રાજેન્દ્ર શુકલ કે મનોજ ખંડેરિયા?જવાહર બક્ષી કે ઉર્વીશ વસાવડા? વિરુ પુરોહિત કે ગોવિંદ ગઢવી.......મહેન્દ્રસિંહ પઢીયાર ....એમ જ આગળ ચાલીએ તો મિલિંદ ગઢવી સુધી પહોંચાય...પણ શ્યામ સાધુ ન ભુલાય હો....
નારસિંહબાપા પઢીયાર કે દિવ્યકાંત નાણાવટી? સૂર્યકાન્ત આચાર્ય કે રતુભાઈ અદાણી........શંભુપ્રસાદ દેસાઈ કે પુષ્પાબહેન મહેતા ....પેથલજીભાઈ ચાવડા કે મહેન્દ્ર મશરૂ.....પછીની પેઢી..હેમંત નાણાવટી કે યોગી પઢીયાર...
જૂનાગઢ એટલે શું?જૂનાગઢ એટલે શું નહીં? તળેટી અને ભવનાથ. દત્ત્।ાત્રેય અને નવનાથ.....શિવરાત્રી અને પરિક્રમા..આશ્રમ અને અખાડા..દામોદર કુંડ અને મૃગીકુંડ...
મહેતાજીનો ચોરો હોય કે તળેટીનું નરસિંહ મહેતા ધામ હોય...બન્નેની પોતાની આભા અને ઉર્જા. શશીન નાણાવટી હોય કે સંજુ મહેતા...નાગરી પરંપરા પ્રેમને આદરની જેમ જ સતત પરિવર્તનનો પવન ગિરનાર પરથી આવે. જૂનાગઢ એટલે મોર્ડનની લસ્સી ને રોકડીયાના ભજિયાં.... જૂનાગઢ એટલે કાળવા ચોક અને માંગનાથ. જૂનાગઢ એટલે સક્કરબાગ ને મોતી બાગ......
દર બે ત્રણ વર્ષે આમ સ્મારક,સ્થળ અને વ્યકિતના નામ એટલે લખવાનું મન થાય કે આ બધા સ્થળ જૂનાગઢની ઓળખ અને આ વ્યકિતઓએ જૂનાગઢને દ્યડ્યું અને સાચવ્યું છે. આ યાદી તો સાવ અધૂરી છે....જૂનાગઢ અને એના આવા લોકો-આગેવાનો વિશે લખવામાં શિલાલેખ જ જોઈએ,પાના ઓછાં પડે. પણ આવા અંક નામ,અનેક સ્થળ અનેક દ્યટનાનો સરવાળો...એનું કોઈ એક નામ છે જૂનાગઢ....
મિત્રો આ પોસ્ટ શ્રી જવલંતભાઈ છાયાએ મુકીછે , તેમના જુનાગઢ પ્રેમ માટે સહુ જુનાગઢીઓ તેમના ખુબ ખુબ આભારીછે અને તેમને અભિનંદન પણ આપીએ છીએ.
આજે સાંજે ઐતિહાસિક બહાઉદીન કોલેજનાં પંટાગણમાં આરઝી હકુમત સ્તંભનું પુજન સહુ આગેવાનો કરશે અને આરઝી હકુમતની લડાઈ લડનાર સહુ લડવૈયાઓને અને સરદાર વલ્લભભાઈ પટેલ ને જુનાગઢને આઝાદી અપાવવા બદલ યાદ કરીને શત શત નમન કરશે.