Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

આપણે એક તપસ્વી સંત ગુમાવ્યા છે : પૂ. ગોપાલાનંદ બાપુને શ્રધ્ધાંજલિ અર્પતા વિજયભાઇ રૂપાણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ : સૌરાષ્ટ્રના સૌથી મોટી વયના સંત અને સંત શિરોમણી ક્રાંતિકારી વિચારક મહંત, કન્યા કેળવણી અને ધર્મની સાથે સમાજ સેવાના ઉદ્ઘારક એવા જૂનાગઢ જિલ્લાના મહંત શ્રી ગોપાલાનંદ બાપુ તાજેતરમાં બ્રહ્મલીન થતાં આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે બીલખા સ્થિત તેમના આશ્રમમાં શ્રી ગોપાલાનંદબાપુને ભાવાંજલિ આપી હતી. શ્રદ્ઘાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ઘાંજલિ સભામાં જણાવ્યું હતું કે, આપણે એક ક્રાંતિકારી અને તપસ્વી સંત ગુમાવ્યા છે. બ્રહ્મલીન સંત શ્રી ગોપાલાનંદબાપુએ આખી જિંદગી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો જીવન મંત્ર અપનાવી સેવાની ધૂણી ધખાવી હતી મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની જનતા વતી શ્રી ગોપાલાનંદબાપુને શ્રદ્ઘાંજલિ આપી કહ્યું કે, તપસ્વી સંતનું જીવન આપણા સૌના માટે પથદર્શક છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગિરનાર વિસ્તારમાં વિકાસના કાર્યો હોય કે સમગ્ર સમાજ-કલ્યાણ, લોકકલ્યાણની વાત હોય ગોપાલાનંદબાપુએ તેમના વિચાર મુકીને આપણને સૌને પ્રેરિત કર્યા છે. ધર્મની રક્ષા, માનવતાના મુલ્યો, શિક્ષણ અને ધર્મનિતીનું માર્ગદર્શન આપણને તેમની પાસેથી મળ્યું છે તેમ પણ કહ્યું હતું.

શિવરાત્રીના દિવસોમાં તેમના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો તે અંગે ધન્યતા અનુભવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત તેમના આશીર્વાદથી આગળ વધતુ રહેશે.

બિલખા સ્થિત શ્રદ્ઘાંજલી સભામાં મહંતશ્રી મુકતાનંદબાપુ, સત્તાધારના લઘુમહંતશ્રી વિજયબાપુ, પરબના કરસનદાસ બાપુ, કનકેશ્વરીદેવી, શ્રી શેરનાથબાપુ, શ્રી રામકૃષ્ણનંદ, પાળીયાદના નિર્મળાબા, ચલૈયાધામના રામરૂપદાસજી, શિતલદાસબાપુ, બિલખા, ચાપરડા અને જુનાગઢના વિવિધ આશ્રમના સંતો-મહંતો, અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(2:10 pm IST)