Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, વીજળી પડતા પાંચના મોત

ગોંડલ શહેરમાં જળબંબાકારની સ્થિતિ : વાસાવડ ગામ પાસેથી નદી ગાંડીતુર બની : ગોંડલમાં દોઢ કલાકમાં ૪ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

રાજકોટ, તા.૮ :હવામાન વિભાગની આગાહી અનુસાર આજ સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. જો કે બપોર બાદથી જાણે મેઘ મહેર મેઘતાંડવ બની હોય તેવું લાગી રહ્યા છે. ગોંડલના વાસાવડ ગામે મેઘતાંડવ જોવા મળ્યો હતો.

ધોધમાર ૩ ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર આવ્યું છે. વાસાવડ ગામ પાસેથી નદી ગાંડીતુર બની છે. ગોંડલમાં દોઢ કલાકમાં ૪ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજકોટના જસદણમાં વિજળી પડવાનાં કારણે ૨ મોત, ગોંડલમાં ૧, પંચમહાલ અને દાહોદમાં ૧-૧ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા.

ગોંડલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તાઓ પાણી પાણી થયા છે. ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. ગોંડલ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઇ છે.

રાજકોટમાં વરસાદ એટલો છે કે, તંત્રને એરપોર્ટ પણ બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટની તમામ ફ્લાઇટો અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે. ખરાબ હવામાનના કારણે વિઝેબિલિટી ઓછી થતા મુંબઇથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ગુજરાતના ૧૬૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૦ તાલુકાઓમાં ૩ ઈંચથી વધારે વરસાદ નોંધાયો.

રાજ્યના ૨૨ તાલુકાઓમાં ૨ ઈંચથી વધારે વરસાદ, રાજ્યના ૫૦ તાલુકાઓમાં ૧ ઈંચથી વધારે વરસાદ. ગીર સોમનાથના સુત્રાપાડામાં ૫.૫ ઈંચ વરસાદ, અમરેલીના બાબરામાં ૫.૨ ઈંચ વરસાદ વરસ્યો, માણાવદર અને ખાંભામાં ૪ ઈંચથી વધુ વરસાદ, વીસાવદર અને ગોંડલમાં ૪-૪ ઈંચ વરસાદ, વલ્લભીપુર અને ઉમરાળામાં ૩.૫ ઈંચ વરસાદ, ધારી, ગઢડા, બોટાદમાં ૩-૩ ઈંચ વરસાદ, કોડીનાર, ભેંસાણ, માળિયામાં ૨.૫ ઈંચ વરસાદ, શિહોર, ચોટીલા, વેરાવળમાં ૨.૫ ઈંચ વરસાદ, લાઠી, ગીરગઢડા, વડિયામાં ૨-૨ ઈંચ વરસાદ, વંથલી, માંગરોળ, બગસરામાં ૨-૨ ઈંચ વરસાદ, મેંગરડા, રાજુલા, જાફરાબાદમાં પોણા ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.

(8:59 pm IST)