Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મોટા ભંડારિયામાં ધો-૧૦ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો

વિદ્યાર્થીનીના આપઘાતના મામલે તપાસ : ૧૬ વર્ષની સગીરાએ અગમ્ય કારણથી પોતાના ઘરે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લેતાં પરિવારમાં આઘાતનું મોજુ

અમદાવાદ, તા.૮ : અમરેલી જિલ્લામાં મોટા ભંડારિયા ગામે રહેતી અને ધો-૧૦માં અભ્યાસ કરતી સગીરાએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણીને બેભાન અવસ્થામાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ધો-૧૦ની વિદ્યાર્થીનીની આત્મહત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલીનાં મોટા ભંડારિયા ગામે રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી બીનલબેન સુરેશભાઈ સાથળી નામની ૧૬ વર્ષની સગીરાએ કોઈ કારણસર પોતાના ઘરે જ ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

          તેણીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેણીએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. યુવતીનાં મૃત્યુથી પરિવારમાં શોકનો માતમ છવાઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક બીનલબેન સાથળી બે ભાઈ અને એક બહેનમાં વચ્ચેની હોવાનું અને ધો.૧૦માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. અમરેલી પોલીસે આપઘાતનું કારણ જાણવા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને સ્થાનિક રહીશોમાં પણ ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(8:39 pm IST)