Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત કચ્છમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા.૮ : ભારતીય જનતા પક્ષના સ્થાપના દિવસ અંતર્ગત સમગ્ર જિલ્લાભરમાં પં.દિનદયાલ ઉપાધ્યાયજી, ડો.શ્યામપ્રસાદ મુખરજી, પુર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઇજીની છબીઓને હારારોપણ તથા પુષ્પાંજલી કાર્યકર્તાઓના ઘરે, ઓફીસે પક્ષનો ધ્વજ લગાવવો, હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, સેવા વસ્તીમાં ફ્રુટ વિતરણ, જૂના જનસંઘી કાર્યકર્તાઓનું સન્માન જેવા વિવિધ કાર્યક્રમો પક્ષ દ્વારા યોજવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સ્થાપનાદિન ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યાલયે પં.દિનદયાલ ઉપાધ્યાયજી, ડો.શ્યામાપ્રસાદ મુખરજી, પુર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇજીની છબીઓને હારારોપણ તથા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કાર્યાલય પર ઉપસ્થિત આગેવાનો દ્વારા પક્ષના ધ્વજ લગાવી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ નરેન્દ્રભાઇ મોદીનું સ્થાપના દિવસ અંતર્ગત કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.

ઉપરોકત કાર્યક્રમ બાદ જૂના જનસંઘી અને ભૂજના પુર્વ નગરપતિ એવા સ્વ.રસીકલાલ ઠકકરના ઘરે જઇ પક્ષના આગેવાનો દ્વારા તેમના પુત્ર અને ભુજ ન.પા.ના પ્રમુખ ઘનશ્યામભાઇ રસીકલાલ ઠકકર તથા તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ જનસંઘી અને પુર્વ નગરપતિ સ્વ.મંગલદાસ મહેશ્વરીના ઘરે જઇ તેમના પત્ની ઝવેરબેન મંગલદાસ માહેશ્વરી (પુર્વ પ્રમુખ, ભુજ ન.પા.) તથા તેમના પરિવારજનોનું સન્માન કરી તેમના ખબર અંતર પુછવામાં આવ્યા હતા.

તે ઉપરાંત ભુજના વોર્ડનં.૭માં પક્ષના સ્થાપના દિવસ નિમિતે આ વોર્ડના કાઉન્સીલરશ્રીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ લોકોને વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો.

ઉપરોકત કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, મંત્રી પ્રફુલસિંહ જાડેજા, ભુજ ન.પા. પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, ભુજ શહેર ભાજપ મહામંત્રી બાલકૃષ્ણભાઇ મોતા, જિલ્લા ભાજપ હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, ન.પા.ના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મિડીયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયુ હતુ.

(11:40 am IST)