ટંકારા, તા. ૭ : આર્ય સમાજના સ્થાપક અને મહાન ક્રાન્તીવીર આઝાદીના પ્રેણતા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીનો બોધોત્સ તા. ૧ર,૧૩,૧૪ના રોજ ઉજવાશે. ભારતભરમાં દસેક હજાર યાત્રાળુઓ બોધોત્સવમાં ભાગ લેવા પધારશે.
આ બોધોત્સવ ડી.એ.વી. કોલેજના પ્રમુખ તથા આયૃ પ્રતિનિધિ સભાના દિલ્હીના મંગત્રી પદ્મશ્રી ડો. પૂનમ સુરીના અધ્યક્ષસ્થાને યોજાશે.
મુખ્ય અતિથિ તરીકે હિમાચલ પ્રદેશના રાજયપાલ શ્રી આચાર્ય દેવવૃતજી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સ્વામી શાન્તાનંદ (ગુજરાત) મહાત્મા ચૈતન્ય મુનિ (હિમાચલ પ્રદેશ) સ્વામી આર્વેશાનંદ (માઉન્ટ આબુ), ડો. રૂપકિશોર શાસ્ત્રી (ગુરૂકુલ કાંગડી) એસ.કે. શર્મા (દિલ્હી), વાચોનિધિ આર્ય (ગાંધીધામ), ગીરીશ ખોસલા (ય.એસ.એ.) સહિતના વિદ્વાનો ભાગ લેશે.
તા.૧ર,૧૩,૧૪ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે. બોધત્સવ પ્રસંગે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાયેલ છે. તેમાં સૌરાષ્ટ્રના વીસથી વધુ ટીમો ભાગ લેશે. સંસ્કૃત ભાષામાં ભાષણ પ્રતિયોગીતા યોજાશે. તેમાં ભારતભરના આર્ય સમાજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. વિજેતાઓને પુરસ્કાર અપાશે. જામનગર કનયા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક, ભજનો, પ્રવચન થશે. ટંકારા ઉપદેશક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા યોગાસનનું પ્રદર્શન થશે. ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ દ્વારા ઉપદેશક વિદ્યાલય ચાલે છે.
આચાર્ય રામદેવજીએ જણાવેલ કે આ ઉપદેશક વિદ્યાલયમાં ભારતભરના વિવિધ રાજયોમાંથી વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આવે છે.
ધો. આઠથી એમ.એ. સુધીનો રોહતક યુનિવર્સિટી માન્ય અભ્યાસ ચાલે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વેદ-ઉપનિષદ તથા મહર્ષિ દયાનંદ લિખિત અભ્યાસ ક્રમ શીખવવામાં આવે છે. અભ્યાસક્રમ સંસ્કૃતમાં છે, પરંતુ સાથોસાથ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને કોમ્પ્યુટર પણ શિખવવામાં આવે છે.
વિદ્યાર્થીઓને જન્મથી માંડી મૃત્યુ સુધીના સોળ સંસ્કારની વિધિ શિખવવામાં આવે છે. વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરી પુરોહિતનું કાર્ય કરી શકે છે. આર્ય સમાજોમાં જોડાયને મહર્ષિ દયાનંદના વિચારો તથા કાર્યોનો પ્રચાર પ્રસાર કરી શકે છે.
ઉપદેશક વિદ્યાલય માટે હિરો ગ્રુપ દ્વારા આશરે ૭૦ લાખા ખર્ચે આધુનિક સત્યાનંદ મુંજાલ ગુરૂકુળ ભવનનું નિર્માણ કરાયેલ છે તેનું ઉદ્ઘાટન થશે.
ગુરૂકુલ ભવનમાં આઠ વિશાળ વર્ગ ખંડો, ઓફીસ, પ્રાર્થના હોલ, મીટીંગ હોલ, સંડાસ-બાથરૂમ, કોમ્પ્યુટર લેબ. લાયબ્રેરી ફર્નીચર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે. હિરો ગ્રુપ દ્વારા વત વર્ષે યોગ સાધના હોલ આશરે ૭૦ લાખના ખર્ચે બનાવેલ છે.
ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે સિલાઇ કેન્દ્ર ચાલે છે તેમાં મહિલાઓ આર્થીક રીતે પગભર થઇ શકે તે માટે સિલાઇ કામ શિખવવામાં આવે છે.
આશરે સાતેક લાખ રૂ.ના ખર્ચેશ્રી ઓમકાર નાથ માનકટાલા મહીલા સિવાઇ પ્રશિક્ષણ કેન્દ્ર બનાવાયેલ છે. તેનું ઉદ્ઘાટન તા. ૭-ર-૧૮થી ૧૩-ર-૧૮ સુધી યજુર્વેદ પારાયણ યોજાશે તેના બ્રહ્મા આચાર્ય રામદેવજી છે. દરરોજ સવારે-સાંજ યજ્ઞ, પ્રવચનો, ભજનનો થશે.
આર્ય જગતના પ્રસિદ્ધ સંગીતકાર સત્યપાલ પથિક (અમૃતસર પંજાબ) તથા દિશેન પથિક દ્વારા સંગીત સંધ્યા યોજાયશે. તેને સાંભળવા માટે લોકો દૂર દૂર આવે છે.
વ્યવસ્થાપક રમેશભાઇ મહેતાએ જણાવેલ કે ઋષિ બોધોત્સવમાં ભાગ લેવા પધારતા યાત્રાળુઓનો ઉતારાની, જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરાય છે. ટંકારાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તથા સમાજવાદીમાં ઉતારો અપાશે.
શિવરાત્રીના રોજ યજર્વેદ પારાયણ યજ્ઞના પૂર્ણાહુતિ, ઓમધ્વજ ફરકાવવામાં આવશે તથા ઓમ ધ્વજનું ગાન થશે. ત્યારબાદ શોભાયાત્રા નીકળશે. તેમાં ભારતભરના આર્ય સમાજીઓ જોડાશે.
બપોર પછી શ્રદ્ધાંજલી સભા યોજાશે. તેમાં મહાનુભાવો દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીને ભાવભરી શ્રદ્ધાંજલી અપાશે.
ટ્રસ્ટના મંત્રી અજયભાઇ સહગલ, આચાગર્ય રામદેવજી, વ્યવસ્થાપક રમેશભાઇ મહેતા દ્વારા જહેમત ઉઠાવાય છે.