Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ભાવનગરના વીરપુરના બાળકને મળ્યું નવજીવન

હૃદયરોગથી અજાણ ખેડૂત પરિવારના પુત્રનું અમદાવાદ ખાતે સરકારી ખર્ચે સફળ ઓપરેશન

ભાવનગર તા.૭ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત જેસર તાલુકાના વીરપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયવંતસિંહ ચૌહાણના પુત્ર મિતરાજસિંહને શ્વાસ ચડવો, વધારે રડવાની તથા હોઠ ભૂરા પડી જવાની તકલીફ જણાતા આર.બી એસ.કે. ટીમે તેમના દ્યરે જઈ તપાસ કરતાં હદય રોગની શંકાના આધારે વધુ નિદાન અને સારવાર અર્થે સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત ભરી સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ હતું. જયાંથી હૃદય સંબંધી તકલીફ વધુ જણાતાં બાળકને યુ.એન.મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું. જયાં તેના હૃદયમાં લાર્જ વીએસડી અને ટ્રન્ચસ આર્ટેરિયસ ની તકલીફ હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મિતરાજસિંહના વાલીએ ઓપરેશન કરાવવા બાબતે અસંમતિ દર્શાવી હતી. પરંતુ મેડિકલ ટીમ દ્વારા વાલીને ઓપરેશનની વિગતો તથા આવશ્યકતાથી વાકેફ કરાવી તેને મનાવ્યા હતા.

આમ ગત તા. ૪/૧૧/૨૦૨૦ ના રોજ હૃદયનું જટિલ અને દસ લાખ સુધીનું ખર્ચાળ ઓપરેશન ખેડૂત પરિવાર માટે વિનામૂલ્યે થતા તથા આવન-જાવન માટે ટિકિટનો ખર્ચ અને ત્યાં જમવાનો ખર્ચ પણ સરકારે ભોગવતા સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.અને પરિવારે સરકારનો આભાર વ્યકત કર્યો હતો અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. કણઝરીયાના માર્ગદર્શન હેઠળ ઉપેન્દ્રભાઈ ભાદરકા,ડો.બીપીન ટાઢા, ડો.વિશાલ માંડવીયા, ડો. કેતાબા સરવૈયા, ઉદયભાઇ તથા ધારાબેનની કામગીરીને બિરદાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ગંભીર રોગો જેવા કે જન્મજાત હદયરોગ, બધિરતા, મોતિયો, કલેફ્ટ લિપ અને પ્લેટ જેવા રોગોને શોધીને તેને સંદર્ભ કાર્ડ ભરી સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષના શાળા અને આંગણવાડીના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.

(11:32 am IST)