Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સૌરાષ્ટ્રના ડેમોમાં ૨૨૦૨.૦૮ MCFT જળ જથ્થો : ગયા વર્ષ કરતા ૪૨.૮૩ ઓછો

૧૪૦ ડેમો પૈકી ૧૮ ડેમ સંપૂર્ણ ભરાયેલા : કુલ જળસંગ્રહ ક્ષમતાના પ્રમાણમાં ૮૬.૮૭ ટકા પાણી : નર્મદા ડેમ ૮૬.૨૮ ટકા ભરેલો : ઉનાળો હેમખેમ પાર ઉતરી જશે

રાજકોટ,તા. ૭: ગયા ચોમાસાએ મેઘરાજાએ મહેર કરતા સૌરાષ્ટ્ર માટે પીવાના પાણી અને સિંચાઇના પાણીની નિરાંત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના ડેમોમાં ગયા વર્ષેની સરખામણીમાં આ વર્ષે જળ જથ્થો ઓછો છે છતાં ઉનાળો હેમખેમ પાર ઉતરી જાય તેવી સ્થિતી છે.

સરકારની આંકડાકીય માહિતી મુજબ ૨૦૧૯ના વર્ષની ૫ ડીસેમ્બરની સરખામણીએ આ વર્ષની ૫ ડિસેમ્બરે માત્ર ૪૨.૮૩ એમ.સી.એફ.ટી જળ જથ્થો જ ઓછો છે. સૌરાષ્ટ્રના૧૪૦ ડેમોના હાલ ૨૨૦૨.૦૯ એમ.સી.એફ.ટી પાણી છે. તે ગયા વર્ષે ૨૨૪૪.૯૨ એમ.સી.એફ.ટી પાણી ઓછું છે. સૌરાષ્ટ્રના ડેમોની કુલ જળસંગ્રહ ક્ષમતા ૨૫૩૯.૯૩ એમ.સી.એફ.ટી. છે. તેના પ્રમાણમાં ૮૬.૭૦ ટકા પાણી ઉપલબ્ધ છે. આવતા દિવસોમાં વપરાશ અને બાષ્પીભવનથી પાણીનો ઘટાડો થશે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો માટે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ ૮૧૬૨.૨૦ એમ.સી.એફ.ટી પાણી છે. ડેમ કુલ સંગ્રહ ક્ષમતામાંથી ૮૬.૨૮ ટકા ભરેલો છે. ઉનાળામાં સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોને નળથી પાણી મળી રહે તેવા સરકારના પ્રયત્નો છે જરૂર પડે ત્યાં ટેન્ડર માટે વિચારાશે.

(11:10 am IST)