Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કોડીનારમાં માસુમ બાળાની હત્યામાં એક શખ્સની ધરપકડ

અન્ય એક યુવતિ સહિત ર વ્યકિતની સંડોવણી હોવાની ચર્ચાઃ પોલીસ તપાસનો ધમધમાટ

વેરાવળ-કોડીનાર તા.૭: કોડીનારનાં લોહાણા વેપારી મંગલમગૃપ વાળા બિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ૧૬ વર્ષની પુત્રી વિમાંશીની હત્યા પ્રકરણમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જયારે એક યુવતિ સહિત એક વ્યકિતની સંડોવણી હોવાનું ચર્ચાઇ રહયું છે.

આ અંગે મૃતક બાળાના પિતા બિમલભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે નવથી સાડાનવ વચ્ચે હું મારા ઘરે ગયેલ તે વખતે મારી પત્ની મીનાક્ષી ને પુછેલ કે વિમાંશી કયાં છે તો મારી પત્નીએ કહેલ કે વિમાંશી બુક લઇને પ્રોજેકટ કરવા સારૂ નવેક વાગ્યે ઘરેથી તેની બહેનપણીને ત્યાં જવાનું કહીને ગયેલ છે અમો બંન્ને જમી પરવારી નવરા થઇ ગયાં છતા વિમાંશી આવેલ ન હોય જેથી અમો અંતે આજુબાજુમાં તપાસ કરતાં વિમાંશી મળેલ નહી તે પછી હું મારા કાકાનાં દિકરા જીજ્ઞેશ ભાઇને ઘરે જઇ બધી હકીકત જણાવેલ અમો બધા કુટુંબનાં સભ્યો ભેગા થયેલ અને કોડીનારનાં સરદાર નગરમાં રહેતો કશ્યપ અગાઉ છ એક મહિના પહેલા અમારી શેરીમાં આવેલ અને મારી દિકરી વિમાંશીને ફોન કરેલ જે ફોન મારા મમ્મી પાસે હોય તે ફોન મારી પત્નીએ ઉપાડેલ ત્યારે કશ્યપ અમારા ફોનમાં વાત કરતા દેખાયો તેથી મારી પત્નીએ કશ્યપને ઠપકો આપી કહેલ કે તારે આ ફોનમાં ફોન કરવો નહી ત્યારે તો તે જતો રહયો હતો ત્યાર બાદ આ કશ્યપ મારી દિકરીને અવારનવાર હેરાન કરતો હતો જેથી વિમાંશીની તપાસ કરવા હું તથા મારા ઘરનાં સભ્યો રાત્રીના અગિયારેક વાગ્યે આ કશ્યપના ઘરે ગયેલા તો ત્યાં તેના બાપુજી વિજયભાઇ તથા કશ્યપ હાજર હોય અમોએ મારી દિકરી અહી આવી છે કે કેમ તે અંગે પુછપરછ કરતા આ બંન્નેએ કહેલ કે અહિ આવેલ નથી જેથી આ બન્ને બાપ દિકરો અમારી સાથે મારી દિકરીને શોધવા માટે અંબજુા સુધી સાથે આવ્યા હતા. બાદ તે જતા રહેલ અને અમોએ ગામમા તથા આજુબાજુના સ્થળે તપાસ કરતા વિમાંશી કયાંક મળેલ નહિ અને તા. ૬ના રોજ સવારનાં દશેક વાગ્યે મને જાણવા મળેલ કે કોડીનાર ઉના તરફ જતા બાયપાસ રોડ ઉપર એક અજાણી છોકરીની લાશ મળેલ છે.

જેથી હુ તથા મારા કુટુંબના સભ્યો ત્યાં સ્થળ ઉપર જતા આ લાશ મારી દિકરી વિમાંશીની હોય અને લાશ જોતા તેમના ગળામાં તથા શરીરનાં ભાગે ગંભીર ઇજાનાં નિશાન હતા અને તેને પહેરેલ સોનાનો ચેન પણ જોવામાં આવેલ નહિ પોલીસે લાશને કોડીનારની સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડેલ આ સમય દરમિયાન મને જાણવા મળેલ કે મારી દિકરી વિમાંશીને કોડીનાર સરદાર નગરમાં રહેતો કશ્યપ વિજયભાઇ પુરોહિત તથા ધરતી જયપ્રકાશ ઉપાધ્યાય રે. કોડીનાર વાળા સાથે મળી કોઇપણ રીતે બોલાવી ઉના બાયપાસ રોડ ઉપર લઇ જઇ હથિયારનાં ઘા મારી મોત નિપજાવેલ છે આ કશ્યપ સાથે મારી દિકરી કોઇ સંબંધ ન રાખવા સમજાવેલ જેનું મનદુઃખ રાખીને આ કશ્યપ તથા તેની ફ્રેન્ડ ધરતીએ બાયપાસ રોડ ઉપર બોલાવી તિક્ષ્ણ હથિયારનાં ઘા મારી મોત નિપજાવેલ હોવાની ફરિયાદ કરતા પોલીસે ઇ.પી.કો. ૩૦૨,૩૬૪,૩૪ જી.પી.એ. કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૧.૧૨)

(12:35 pm IST)