Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વીરપુર ગૌશાળામાં નવનિર્માણ સુવિધાયુકત શેડનું લોકાર્પણ

વીરપુર, તા.૬: જલારામધામમાં શ્રી મારૂતિ ગૌશાળામાં ગિરિરાજ ગૌ-સેવા કીર્તન મંડળી દ્વારા ગૌમાતા માટે સુવિધાયુકત નવનિર્માણ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું.

'સેવાનો જયાં સૂરજ તપે,ભકિત સદા નિષ્કામ છે ધન્ય ધન્ય વીરપુર ધરણી જયાં સંત શ્રી જલીયાણ છે.' સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર જલારામધામમાં બીમાર અને નિરાધાર ગાયમાતા માટે ચાલતી શ્રી મારૂતિ ગૌશાળા જેની સ્થાપના શ્રી મારૂતિ મિત્ર મંડળના સ્વ.કિરીટભાઈ સાવલીયાએ કરેલ હતી આજે પણ આ ગૌશાળામાં શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટી મંડળ તેમજ મારૂતિ યુવા ગ્રૂપ દ્વારા અવિરતપણે બીમાર અને નિરાધાર ગૌમાતાની સેવાઓ થઈ રહી છે,આ ગૌશાળામાં વીરપુરની ગિરિરાજ ગૌસેવા કીર્તન મંડળી જે વીરપુર સહિત આજુબાજુ ગામમાં ઘેરઘેર ભજન-કીર્તન તેમજ ધૂન કરીને જે દાન-ફાળાની રકમ મળે તેમાંથી ગાયમાતા માટે સેવાઓ કરી રહ્યા છે, તાજેતરમાં વીરપુરમાં શ્રી મારૂતિ ગૌશાળામાં આ ગિરિરાજ કીર્તન મંડળી દ્વારા બીમાર અને નિરાધાર ગાયમાતાઓ માટે રૂપિયા ૬.૫૧૦૦૦ (છ લાખ એકાવન હજાર)નો સુવિધાયુકત શેડ બનાવી તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચીખલી સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી શ્રી દ્યનશ્યામ પ્રકાશ દાસજી તેમજ અનેકવાર ગૌ કથા વાંચનાર રાજકોટ સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણ દાસજીના હસ્તે આ સુવિધાયુકત શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંડળ દ્વારા ગિરિરાજ ગૌસેવા કીર્તન મંડળના પ્રમુખ અને સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગાયત્રી સેવા ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વઘાસિયા તથા ગાયત્રી મહિલા મંડળના બહેનો તેમજ વીરપુર ગામના આગેવાનો, અગ્રણીઓ તથા ગૌપ્રેમીઓ હાજર રહ્યા હતા.

(12:17 pm IST)